
- સંત નિરંકારી મિશનના સ્વયંસેવકો તથા રેલવેના અધિકારીઓ-કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
ભાવનગર, 03 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા સ્વચ્છ રેલવે–સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શુક્રવારે મંડળ ભાવનગર પરા રેલવે સ્ટેશન ખાતે સંત નિરંકારી મિશન, ભાવનગરના સહયોગથી શ્રમદાન તથા સઘન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સંત નિરંકારી મિશનના સ્વયંસેવકો, રેલવે સુરક્ષા બળ (RPF)ના જવાનો, ટિકિટ નિરીક્ષકો, વાણિજ્ય વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ અને રેલવે કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક શ્રમદાનમાં ભાગ લીધો.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય હેતુ રેલવે પરિસરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવાનો તથા યાત્રિયોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો છે. અભિયાન દરમિયાન સ્ટેશન પરિસર, રેલવે ટ્રેક, પ્લેટફોર્મ તથા અન્ય જાહેર સ્થળોની વ્યાપક સફાઈ હાથ ધરવામાં આવી.
આ પ્રસંગે રેલવેની જાહેર સૂચના પ્રણાલી દ્વારા યાત્રિયોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા માટે અપીલ કરવામાં આવી. યાત્રિયોને રેલવે પરિસર, પ્લેટફોર્મ તથા ટ્રેનોમાં કચરો ન ફેંકવા અને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો. સાથે જ સ્વચ્છતા જાળવવા, ગંદકી ન ફેલાવવાની અને અન્ય લોકોને પણ તે માટે પ્રેરિત કરવાની અપીલ કરવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ રેલવે અને સ્વચ્છ ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે દરેક નાગરિક પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે.
ભાવનગર મંડળ દ્વારા સમયાંતરે આવા જનજાગૃતિ અને સ્વચ્છતા અભિયાનોનું આયોજન કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ યાત્રિયોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો તેમજ રેલવે પરિસરોને સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી બનાવવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ