
ભાવનગર, 03 જુલાઈ (હિ.સ.)ભાવનગર સ્થિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે માનવસેવાને સમર્પિત એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણભાઈ ગાબાણીએ ૧૩૩મી વખત સ્વૈચ્છિક રક્તદાન કરીને સમાજ સમક્ષ સેવા અને સમર્પણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમના આ અવિરત સેવાયજ્ઞને બિરદાવવા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રવિણભાઈ ગાબાણી વર્ષોથી નિયમિત અને નિઃસ્વાર્થ ભાવથી રક્તદાન કરી રહ્યા છે. તેમના રક્તદાનથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળ્યું છે અને અનેક જીવ બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે. તેમના આ સેવાકાર્યને સમાજમાં પ્રેરણારૂપ માનવામાં આવે છે અને યુવાનો સહિત અનેક લોકો તેમના કાર્યથી પ્રભાવિત થઈ સ્વૈચ્છિક રક્તદાન તરફ આગળ વધી રહ્યા છે.
આ પ્રસંગે ભાવનગર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન સુમિતભાઈ ઠક્કરનું પણ, પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. સુમિતભાઈ ઠક્કર લાંબા સમયથી સ્વૈચ્છિક રક્તદાન અંગે જનજાગૃતિ લાવવા, નિયમિત રક્તદાન કેમ્પોનું આયોજન કરવા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે. તેમની સેવાઓને પણ ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી.
પ્રેરણા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. પ્રેમ કંડોલિયાએ જણાવ્યું હતું કે, સમાજમાં સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવાથી અન્ય લોકો પણ માનવસેવાના કાર્યો સાથે જોડાવા માટે પ્રેરાય છે. તેમણે રક્તદાનને મહાદાન ગણાવી દરેક સ્વસ્થ નાગરિકને નિયમિત રક્તદાન કરવાની અપીલ કરી હતી, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી ઉપલબ્ધ થઈ શકે.
કાર્યક્રમ દરમિયાન રેડક્રોસની ટીમ, સ્વૈચ્છિક રક્તદાતાઓ, સામાજિક આગેવાનો, પ્રેરણા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સેવાભાવ, માનવતા અને સમાજસેવાનો પ્રેરણાદાયી સંદેશ આપતો રહ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA