
ભાવનગર, 03 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેતી ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. અનેક ખેડૂતો પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી ખારેક, ડ્રેગન ફ્રૂટ, પેશન ફ્રૂટ સહિતના ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોની ખેતીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.બાગાયતી પાકોમાં એકવાર યોગ્ય આયોજન સાથે રોકાણ કર્યા બાદ લાંબા સમય સુધી ઉત્પાદન મળતું હોવાથી સારી આવકની શક્યતા રહે છે. સાથે સાથે ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.બાગાયત વિભાગ દ્વારા મળતી વિવિધ સહાય યોજનાઓ અને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શનથી પણ ખેડૂતોને નવી ખેતી અપનાવવામાં પ્રોત્સાહન મળી રહ્યું છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામે રહેતા ખેડૂત સવાણી કુરજીભાઈ જેવો છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અગાઉ પોતે પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા પરંતુ તેમાં યોગ્ય ઉત્પાદન અને વળતર મળતું ન હોવાના કારણે આઠ વર્ષ પહેલાં 127 જેટલા રોપા ખારેકનું વાવેતર કરેલું છે હાલ તેમાંથી ઉત્પાદન મળી રહ્યું છે આ કાર્યક્રમનું વધુ વેચાણ સુરત ખાતે કરી રહ્યા છે અને જ્યાં તેઓને એક કિલોના ભાવ 120 રૂપિયા સુધી મળી રહ્યા છે. પોતે પ્રાકૃતિક ઢબે આ ખારેકની ખેતી કરતા હોવાના કારણે સીધું જ તેનું વેચાણ થઈ રહ્યું છે તેને અન્ય બજારોમાં કે અન્ય જગ્યા ઉપર વેચાણ કરવા માટે પણ જવું પડતું નથી.
આ અંગે ખેડૂત કુરજીભાઈ કેશવભાઈ સવાણીએ જણાવ્યું કે હું છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છું. અગાઉ અમે કપાસ અને મગફળી જેવા પરંપરા પાકોનું વાવેતર કરતા હતા પરંતુ તેમાં ઉત્પાદન ઓછું મળવાના કારણે કચ્છમાં થતી ખારેકનું વાવેતર કરવાનું અમે નક્કી કર્યું. જે સમયે હું આ ખારેકના રોપા લાવ્યો તે સમયે 3500 એક રોપાની કિંમત હતી. જેને ખરીદી અમે વલસાડ ખાતેથી કરી હતી. અમે હાલ 127 જેટલા રોપા પીળી ખારેકનું વાવેતર કરેલું છે આઠ વર્ષ પહેલાં તેનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ત્રણથી ચાર વર્ષ બાદ તેમાંથી ઉત્પાદન આવવાની શરૂઆત થઈ ગઈ હતી.
હું સંપૂર્ણ ઓર્ગેનિક ખારેકની ખેતી કરી રહ્યો છું કોઈ પણ પ્રકાર ની રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવતો જેથી ખારેકની મીઠાશ પણ ખૂબ જ આવે છે. એક રોપામાંથી વર્ષ દરમિયાન પાંચથી છ મણ જેટલી ખારેકનું ઉત્પાદન મળી રહે છે. ખાસ તો અમે ખારેકને અહીંયા થી સુરત મોકલીએ છીએ અને જ્યાં અમને એક કિલોના ભાવ 120 રૂપિયા મળી રહ્યા છે. રોજના માટે જ્યારે ખારેક ઝાડ પર પાકે છે ત્યારે જ તેને ઉતારવામાં આવે છે અને સુરતમાં બસ મારફતે મોકલી આપવામાં આવે છે ત્યાંથી ખૂબ સારું વેચાણ થઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA