
જામનગર, 03 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરતા કાનાલુસ સ્ટેશનના પોરબંદર છેડા પર સ્થિત પોઈન્ટ નંબર 112ના ફોર્સ્ડ ટ્રેક લેઆઉટનું સફળતાપૂર્વક નિરાકરણ કર્યું છે. આ સુધારાથી સંબંધિત રેલ સેક્શન પર ટ્રેનોના સંચાલનમાં વધુ સ્થિરતા અને ઓપરેશનલ કાર્યક્ષમતા સુનિશ્ચિત થશે.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ કામગીરી અંતર્ગત પોઈન્ટ નંબર 112 ને ટી-28 ટ્રેક મશીનની મદદથી 18.82 મીટર રાજકોટ દિશા તરફ સ્થાનાંતરિત કરવામાં આવ્યો છે. તેના પરિણામે ફોર્સ્ડ ટ્રેક લેઆઉટ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયું છે અને ટ્રેક જીઓમેટ્રી (ટ્રેકની ગોઠવણી) માં નોંધપાત્ર સુધારો થયો છે.કામગીરી શરૂ કરતા પહેલા ઘટનાસ્થળની પરિસ્થિતિઓનો વિગતવાર સર્વે અને ટેકનિકલ વિશ્લેષણ કરીને યોગ્ય યોજના તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ એન્જિનિયરિંગ વિભાગની ટીમે નિર્ધારિત ધોરણો અનુસાર આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.મિકેનિકલ સાધનો અને મશીનોના ઉપયોગથી કામગીરીમાં ઉચ્ચ સ્તરની ચોકસાઈ અને ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી હતી, જ્યારે રેલ ટ્રાફિક પર તેની ન્યૂનતમ અસર પડી હતી.આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ સુધારાથી ટ્રેનોની ગતિ અને સંચાલનમાં વધુ સમાનતા આવશે, ટ્રેકની જાળવણી (મેઇન્ટેનન્સ) ની જરૂરિયાતમાં ઘટાડો થશે અને ઓપરેશનની વિશ્વસનીયતામાં વધારો થશે. આ સાથે, આ સુધારો ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને અનુરૂપ વધુ સક્ષમ રેલ સંચાલનમાં પણ મદદરૂપ સાબિત થશે. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનમાં રેલવે સેફ્ટી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે ટેક્નોલોજી આધારિત ઉકેલો અને સુનિયોજિત જાળવણી કાર્યો દ્વારા અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સતત મજબૂત બનાવી રહ્યા છીએ.કાનાલુસ યાર્ડમાં કરવામાં આવેલો આ સુધારો માત્ર ઓપરેશનલ કાર્યક્ષમતામાં જ વધારો નહીં કરે, પરંતુ ભવિષ્યમાં વધુ સલામત અને અવરોધ વિનાનું રેલ સંચાલન સુનિશ્ચિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt