
જામનગર, 04 જુલાઈ (હિ.સ.) :
જામનગર-ખંભાળિયા માર્ગ પર ઠેબા ચોકડી નજીક આવેલા દરેડ નીલગીરી ગોળાઈ પાસે ગઈકાલે શુક્રવારે રાત્રે આશરે 10.15 વાગ્યે સ્કોર્પિયો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર ચાર વ્યક્તિઓ પૈકી બે યુવાનોને ઇજા પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલ, જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ઘાયલ થયેલા મુકેશભાઈ નામના એક શ્રમિક યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે અંતરિયાળ મૃત્યુ નિપજ્યું છે. જ્યારે દેવાભાઈ વિરાભાઈ ભાટીયા (ઉ.વ.20)ને શરીરે છોલા પડવા, રક્તસ્ત્રાવ થવો, નબળાઈ અનુભવવી તેમજ જમણા પગના ફીમર હાડકામાં ગંભીર ફ્રેક્ચર અને જમણા હાથના કાંડા પાસે નાનો ઘા થયો હતો. 108ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપીને સ્પ્લિન્ટિંગ, ઘાની સારવાર તથા આઈવી એક્સેસ સહિતની તબીબી કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજા ઘાયલ ધર્મિકભાઈ હીરાભાઈ સોલંકી (ઉ.વ.17)ને શરીરે સામાન્ય ઇજા તેમજ ચક્કર આવવાની ફરિયાદ હતી. તેમને પ્રાથમિક સારવાર સાથે ઓક્સિજન આપીને વધુ સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક શ્રમિક યુવાન પણ ઘાયલ થઈને બેશુદ્ધ થયો છે, અને સારવાર હેઠળ છે. અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt