
નવસારી, 04 જુલાઈ (હિ.સ.): બીલીમોરાના પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં અંદાજે 100 વર્ષ જૂનું વડનું વિશાળ વૃક્ષ ભારે વરસાદ અને ચોમાસાની અસરને કારણે મૂળ સહિત ધરાશાયી થયું હતું. અચાનક બનેલી આ ઘટનામાં મંદિરના શેડ અને આસપાસના કેટલાક ભાગોને આંશિક નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદભાગ્યે કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી નથી.
ઘટનાની જાણ થતાં જ બીલીમોરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વૃક્ષ હટાવવાની તેમજ પરિસરને સુરક્ષિત બનાવવાની કામગીરી શરૂ કરી હતી. મંદિર ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઈ તેમજ ટ્રસ્ટીઓ પંકજભાઈ મોદી અને દેવચંદભાઈ સહિતના આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સુરક્ષાના હેતુસર મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યો હતો, જ્યારે દર્શનાર્થીઓ માટે વૈકલ્પિક નાનો પ્રવેશદ્વાર ખુલ્લો રાખવામાં આવ્યો હતો.
મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ, વરસાદને કારણે ગાર્ડન અગાઉથી જ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં ફાયર વિભાગ અને મંદિરના સેવકો દ્વારા સફાઈ અને પુનઃસ્થાપનની કામગીરી ચાલી રહી છે. ઘટનાની વચ્ચે પણ મંદિરની નિયમિત સાંજે સાત વાગ્યાની આરતી નિર્ધારિત સમય મુજબ સંપન્ન કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે