
પોરબંદર, 04 જુલાઈ (હિ.સ.)પોરબંદર શહેરના ધરમપુર પંચાયત ઓફિસની બાજુમાં મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઈટના વીજ પોલમાંથી જમીનમાં કરંટ ઉતરવાની ગંભીર સમસ્યાને કારણે એક ગૌમાતાનું કરૂણ મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.મળતી માહિતી મુજબ, ગઈકાલે તા. 2 જુલાઈની રાત્રે આ જ સ્થળે સ્ટ્રીટ લાઈટના પોલમાંથી જમીનમાં વીજ કરંટ ઉતરતાં આશરે 10 જેટલા ગૌવંશ વીજ કરંટની ઝપેટમાં આવ્યા હતા. જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક પીજીવીસીએલને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવતા તમામ ગૌવંશનો આબાદ બચાવ થયો હતો.સ્થાનિકોના આક્ષેપ મુજબ, આટલી ગંભીર ઘટના બનવા છતાં મહાનગરપાલિકા દ્વારા વીજ પોલમાં રહેલો ફોલ્ટ શોધી તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું. જેના પરિણામે આજે તા. 3 જુલાઈની રાત્રે આશરે 10:30 વાગ્યેફરી એ જ સ્થળે વીજ પોલમાંથી જમીનમાં કરંટ ઉતરતાં એક ગૌમાતા વીજ કરંટની ઝપેટમાં આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.સ્થાનિક લોકોનું કહેવું છે કે ધરમપુર વિસ્તારમાં અનેક સ્ટ્રીટ લાઈટના પોલમાં કરંટ ઉતરવાની સમસ્યા છે, જે માનવજીવન માટે પણ ગંભીર જોખમરૂપ બની શકે છે. આ અંગે તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ તમામ વીજ પોલનું નિરીક્ષણ કરી જરૂરી સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.જીવદયા ગ્રુપના લીલુબેન ભુતીયાએ જણાવ્યું હતું કે અબોલ પશુના જીવ ગયા બાદ પણ જો તંત્ર જાગૃત નહીં બને તો ભવિષ્યમાં કોઈ માનવજીવન પણ જોખમમાં મુકાઈ શકે છે. તેમણે મહાનગરપાલિકાને તાત્કાલિક અસરથી સમગ્ર વિસ્તારમાં વીજ પોલની સલામતીની તપાસ હાથ ધરવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya