
જુનાગઢ, 04 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના કેશોદ, માંગરોળ સહિતના તાલુકાઓમાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાય છે. તેના પરિણામે પાણીના ઓવર ટોપીંગના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ પૂર્વવત બને તે માટે ઝડપભેર કામગીરી કરવામાં આવી રહી છે.
વંથલી-માણાવદર- બાંટવા- સરાડીયા રોડ તથા જૂનાગઢ ધંધુસર -રવની -છત્રાસા રોડ પાણીના અવર ટોપીંગના કારણે બંધ થયા હતા. ત્યારે જિલ્લાના માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા ઝડપભેર કામગીરી કરીને પાણીના પ્રવાહમાં અવરોધ રૂપ જાળી ઝાંખરા વગેરે દૂર કરીને માર્ગ પર પાણીના ઓવર ટોપીંગની સમસ્યા નિવારી હતી.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારમાં ફિલ્ડમાં રહી વાહન વ્યવહાર પૂર્વવત થાય તે માટે કામગીરી કરી રહ્યા છે. કેશોદ અને માંગરોળ વિસ્તારના 5 રસ્તાઓ બંધ હતા તેને માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂર્વવત કરવામાં આવ્યા હતા પરંતુ ફરી ભારે વરસાદના પગલે બાધિત થયા છે. તેને ફરીથી શરૂ કરવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ