
મહેસાણા, 04 જુલાઈ (હિ.સ.) : સતલાસણા તાલુકાના ઉમરેચા ગામે ભારત સરકારની પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના (PM-AJAY) અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય સરદાર ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. યોજનાના ભાગરૂપે અંદાજે ₹20 લાખના ખર્ચે સી.સી. રોડ, ગટરલાઈન, પેવર બ્લોક અને સામુદાયિક શેડ સહિત કુલ 10 માળખાગત વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે.
અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના જણાવ્યા મુજબ, આ કાર્યો પૂર્ણ થતાં અનુસૂચિત જાતિ બહુલ વિસ્તારમાં પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે અને ગ્રામજનોને વધુ સારી સુવિધાઓ મળશે. પ્રસંગે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા પ્રતિબદ્ધ છે અને PM-AJAY યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું કે યોજના હેઠળ રસ્તા, ગટર અને પાણી જેવી સુવિધાઓ ઉપરાંત કૌશલ્ય વિકાસ, રોજગારી સર્જન અને આવકવર્ધક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી અનુસૂચિત જાતિના લોકોનો સર્વાંગી વિકાસ શક્ય બને.
કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, સતલાસણા ગ્રામ પંચાયતના સરપંચ પરથીભાઈ પટેલ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના અધિકારીઓ, તાલુકા વહીવટી તંત્રના હોદ્દેદારો, ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR