
મહેસાણા, 04 જુલાઈ (હિ.સ.) : રાજ્યમાં આ વર્ષે ચોમાસું મોડું બેસવાની અથવા સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા વચ્ચે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. રમેશભાઈ પટેલે ખેડૂતોને પાણીની ઉપલબ્ધતા ધ્યાનમાં રાખીને પાકની પસંદગી કરવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે વધુ પાણીની જરૂરિયાત ધરાવતા પાકોની જગ્યાએ ઓછા પિયતથી સારો પાક આપતા વિકલ્પો અપનાવવાથી નુકસાન ઘટાડી શકાય છે.
તેમના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં કપાસનું વાવેતર મોટા ભાગે પૂર્ણ થઈ ગયું છે. જો વરસાદમાં વિલંબ થાય તો કપાસમાં આંતર ખેડ અને આચ્છાદન (મલ્ચિંગ) પદ્ધતિ અપનાવવાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે. વરસાદ મોડો પડે તો મગ, અડદ જેવા કઠોળ પાકો તેમજ બાજરી, નાગલી અને બંટી જેવા મિલેટ પાકો સારા વિકલ્પ બની શકે છે. તેલીબિયા પાકોમાં તલ અને મગફળીનું વાવેતર પણ ઓછા પાણીમાં લાભદાયી રહે છે.
ડૉ. પટેલે જણાવ્યું કે જો ઓગસ્ટમાં વરસાદ શરૂ થાય તો દિવેલાનું વાવેતર વધુ યોગ્ય રહેશે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની ગુજરાત દિવેલા-7 અને ગુજરાત દિવેલા-8 જાતો સારી ઉપજ આપે છે. તેમણે ખેડૂતોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ, આંતર ચાસ પદ્ધતિથી પિયત અને વૈજ્ઞાનિક સલાહ મુજબ પાકનું સંચાલન કરવાની અપીલ કરી હતી, જેથી ઓછા વરસાદની સ્થિતિમાં પણ સારું ઉત્પાદન અને આર્થિક વળતર મેળવી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR