
સુરત, 04 જુલાઈ (હિ.સ.): સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ રાહુલ ત્રિવેદી અધ્યક્ષતામાં આગામી તા.11/7/2026ના રોજ સુરત જિલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.
રાષ્ટ્રીય લોક-અદાલતમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટ-સુરત ખાતે કન્સીલીએશન એટલે કે સમાધાન માટે કરેલી વ્યવસ્થાને લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. નાની રકમની ચેક પરતના કેસો, મોટર અકસ્માત વળતર, દિવાની દાવાઓ, લગ્ન વિષયક દાવાઓ, ડી.જી.વી.સી.એલ. સાથેના વીજબીલનાં લેણાં વિગેરે જેવી તકરારોમાં અનુભવી વકીલો દ્વારા પક્ષકારો સાથે કરવામાં આવતી મિટીંગમાં બહોળી સંખ્યામાં સમાધાન થઈ રહ્યા છે. ઉપરોક્ત શ્રેણીના કોઈપણ પક્ષકારો પોતાનો કેસ લોકઅદાલતમાં મુકાવી શકે છે. ગુજરાત હાઈકોર્ટ જસ્ટીસ અને સુરત જિલ્લાનાં વહીવટી વડા એ.એસ.સુપેહીયાની સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-સુરત દ્વારા તા.૧૧મી જુલાઈએ યોજાનાર લોક અદાલતનો મહત્તમ લાભ લેવા વકીલો-પક્ષકારોને અનુરોધ છે એમ DLSSના સચિવ અને પ્રતિનિધિઓએ જિલ્લા ન્યાયલય ખાતે મીડિયાકર્મીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું.
સુરત જિલ્લા વકીલમંડળના પ્રમુખ એડવોકેટ ઉદય પટેલ અને સુરત સિટી બારના પ્રમુખ એડ્વો, નિલકંઠભાઈ બારોટે પણ તમામ વકીલોને પોતાના પક્ષકારોને સમય-શક્તિ બચાવવા તથા ઝડપી ન્યાય મળે તે માટે લોક અદાલતમાં પોતાના કેસો મુકવા આહ્વાવાન કર્યું છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય એડવોકેટ મતી પ્રીતિ જોષીએ જણાવ્યું હતું કે, લગ્નવિષયક દાવાઓ એ માત્ર કોર્ટ કેસો નથી, પરંતુ પારિવારીક લાગણી, સ્નેહથી જોડાયેલા પરિવારોનો પ્રશ્ન છે, તેવી તકરારોને લોક અદાલતમાં મૂકવાથી પરિવારમાં ફરીથી ખુશહાલી સ્થપાય છે અને પતિ-પત્ની અને બાળકોમાં સંબંધો પ્રગાઢ બને છે.
MACP કેસ માટે એડ્વો. પ્રતિક જોષી અને એડ્વો. નીતા ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઓછા સમયમાં ઝડપથી વળતર અપાવતું માધ્યમ લોક અદાલત છે, જેમાં કોર્ટ સ્ટેમ્પ ડયુટી પણ રિફંડ મળે છે.
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ ડી.આર.જોષીએ જણાવ્યું હતું કે, લોક અદાલતમાં કોઈની હાર થતી નથી કે કોઈ પક્ષકારને બળજબરીથી કેસના નિકાલ થતા નથી. દરેક પક્ષકારની રાજીખુશી, સંમતિથી કેસોનું સુખદ નિરાકરણ કરવામાં આવે છે. પક્ષકારો વચ્ચે ફરીથી સૌહાર્દપૂર્ણ સંબંધો પ્રસ્થાપિત થાય છે. જેથી સમાધાન થઇ શકે એવા કેસોના નિકાલ માટે પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે