
ગીર સોમનાથ, 05 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ- કોસ્ટગાર્ડ દ્વારા તણાયેલી હોડીના ૦૪ માછીમારોનું સલામત રેસ્ક્યૂ કરાયું.
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને પવનના પરિણામે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેના પરિણામે ઉના તાલુકાના સૈયદ રાજપરામાં લાંગરેલી ૫ થી ૬ બોટ અને ૨-૩ નાની હોડીઓ સમુદ્રમાં તણાઇ હતી.
ઉના તાલુકાનાં સૈયદ રાજપરા ગામે ૫ થી ૬ બોટો તથા ૨ -૩ નાની હોડીઓ દરિયાઇ ખાડી વિસ્તારમાં લાંગરેલી હતી.
જોકે, ભારે વરસાદ અને ઝડપી પવન તેમજ નદીના ધસમસતા પ્રવાહનાં કારણે આ બોટ તેમજ હોડીઓ લંગર તોડી સમુદ્રમાં તણાઇ હતી.
તણાઈ ગયેલી બોટમાંથી એક બોટમાં ૪ માછીમાર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ બોટ-હોડીના રેસ્ક્યૂ માટે કોસ્ટગાર્ડના જવાનો સૈયદ રાજપરા ખાતે રવાના થયા હતાં.
કોસ્ટગાર્ડ દ્વારા નવાબંદર ખાતે કમલેશ જીલુભાઇ બારૈયા, નરશી બચુભાઇ બાંભણીયા, રવજી બાબુભાઇ શિયાળ તથા રામજી બાબુભાઇ શિયાળને સહી સલામત રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ