
પાટણ, 05 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના વારાહી નજીક આવેલા ગોખાંતર ગામમાં પરિવારને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. કામ-ધંધો ન કરવા બાબતે ઠપકો આપતા પુત્રએ પોતાના પિતા જમાલશા ફકીરની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પુત્ર અલ્તાફ ફકીર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, અલ્તાફના થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતા. લગ્ન બાદ પણ તે કોઈ કામ કરતો ન હોવાથી પિતા તેને વારંવાર જવાબદારી નિભાવવા અને રોજગાર કરવા સમજાવતા હતા. ઘટનાના દિવસે પણ આ જ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
બોલાચાલી દરમિયાન અલ્તાફ ઉશ્કેરાઈ ગયો અને આવેશમાં આવી પોતાના પિતા પર હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર ઇજાઓ થતાં જમાલશા ફકીરનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ