

પાટણ, 05 જુલાઈ (હિ.સ.)
પાટણ નાગરિક સહકારી બેંકના સંચાલક મંડળની 15 બેઠકો માટે આજે મતદાન શરૂ થયું છે. પ્રગતિશીલ અને પરિવર્તન પેનલ સહિત કુલ 35 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે 31,187 સભાસદ મતદારો બેંકના ભવિષ્યનો નિર્ણય કરશે.
મતદાન આજે સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી એમ.એન. હાઈસ્કૂલ ખાતે ચાલી રહ્યું છે. મતદારોની સુવિધા માટે 23 બૂથ અને સમગ્ર પ્રક્રિયા માટે 89 કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદારે ફરજિયાત 15 મત આપવાના રહેશે.
ચૂંટણીમાં પરિવર્તન પેનલ 'ઊગતા સૂરજ'ના નિશાન સાથે મેદાનમાં છે, જ્યારે પ્રગતિશીલ પેનલ 'ત્રાજવા'ના નિશાન પર ચૂંટણી લડી રહી છે. બંને પક્ષોએ આખી પેનલને જીતાડવા માટે જોરદાર પ્રચાર કર્યો હતો.
મતગણતરી આજે જ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. મોડી રાત સુધીમાં બેંકના નવા સંચાલક મંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કઈ પેનલને સભાસદોએ બહુમતી આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ