

ગાંધીનગર, 05 જુલાઈ (હિ.સ.) : કલોલ ખાતે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલની અધ્યક્ષતામાં અને કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. ૪૯ કરોડ કરતાં વધુની રકમના ખર્ચે નવનિર્મિત થનારા અત્યાધુનિક તાલુકા કોર્ટ અને વકીલ મંડળના સંકુલનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો.
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે કલોલ ખાતે નવનિર્મિત અદ્યતન ન્યાયિક સંકુલના પ્રારંભ પ્રસંગે ગૌરવપૂર્વક સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભવ્ય ઇમારતોની સાથે ગતિશીલ અને અસરકારક ન્યાયિક વ્યવસ્થા એ જ સાચો ન્યાય છે. હાઈકોર્ટે લીધેલા મહત્વપૂર્ણ નીતિવિષયક નિર્ણય અંતર્ગત હવે રાજ્યમાં જ્યાં પણ નવા કોર્ટ બિલ્ડિંગ બનશે, ત્યાં વકીલો માટે અલગ સુવિધાજનક ‘એડવોકેટ બિલ્ડિંગ’ અનિવાર્યપણે બનાવવામાં આવશે, જેથી કાયદાના રક્ષકોને બેસવા માટે યોગ્ય અને ગૌરવપૂર્ણ સ્થાન મળી રહે.
આ પ્રસંગે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉર્જાવાન કાયદા મંત્રી હર્ષભાઈ સંઘવીના સક્રિય સહયોગની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, હાઈકોર્ટ દ્વારા મોકલવામાં આવતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત દરખાસ્તોને સરકારે હંમેશા અગ્રતા આપી ત્વરિત મંજૂરી આપી છે, જેના કારણે આજે સમગ્ર ભારતમાં ગુજરાત જ્યુડિશિયરીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શ્રેષ્ઠ છે.
મુખ્ય ન્યાયમૂર્તિએ કલોલના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રના ઐતિહાસિક મહત્વને રેખાંકિત કરતાં કહ્યું કે, કલોલ એ દેશના પ્રથમ યુરિયા પ્લાન્ટ અને ઉર્જા ક્ષેત્રે ઓઇલ એક્સ્ટ્રેક્શન માટે જાણીતું સમૃદ્ધ અને મહેનતુ ક્ષેત્ર છે. આવા પ્રગતિશીલ તાલુકામાં કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયિક પ્રક્રિયા એટલી જ સુદ્રઢ હોવી જરૂરી છે. ન્યાયપાલિકા દેશના આર્થિક વિકાસ અને ઔદ્યોગિક પ્રગતિમાં શાંતિપૂર્વક પોતાના ન્યાયિક ચુકાદાઓ દ્વારા મોટું યોગદાન આપે છે.
સાથે જ તેમણે ઉમેર્યું કે, કલોલ ખાતે હાઈકોર્ટના મોડલ પ્લાન મુજબ G+6 નું મુખ્ય ન્યાયિક સંકુલ અને વકીલો માટે પાર્કિંગ પ્લસ ૬ માળનું અલગ ભવ્ય બિલ્ડિંગ તૈયાર કરાયું છે. જેમાં મધ્યસ્થી સેન્ટર, ફાઇલિંગ સેન્ટર, પબ્લિક ફેસિલિટી, કોન્ફરન્સ હોલ, લાયબ્રેરી અને ચેમ્બર્સ જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
મધ્યસ્થતા કેન્દ્રને વધુ મજબૂત કરવા આહવાન કરતાં ન્યાયમૂર્તિશ્રીએ કલોલ બાર એસોસિએશનના આશરે ૪૫૦ જેટલા વકીલોને અપીલ કરતાં જણાવ્યું કે, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (DLSA)ના સચિવ સાથે સંકલન સાધી વધુને વધુ વકીલોને હાઈકોર્ટ કક્ષાએ મધ્યસ્થતા માટેની વિશેષ તાલીમ આપવામાં આવે. દરેક તાલુકામાં એક એવું સક્ષમ અને ફૂલ-પ્રોજેક્ટ મેડિએશન સેન્ટર હોવું જોઈએ, જેથી સામાન્ય પક્ષકારોને કોર્ટના લાંબા ચક્કરમાંથી મુક્તિ મળે અને વૈકલ્પિક માધ્યમથી સુખદ સમાધાન થઈ શકે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ નૂતન ન્યાય મંદિર માત્ર ઇમારત બનીને નહીં રહે, પરંતુ જનતાનો ન્યાયપાલિકા અને કાયદાના શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ કરતું એક જીવંત ઉદાહરણ બનશે.
આ પ્રસંગે કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, આજે માત્ર નૂતન ભવનનું ભૂમિપૂજન નહીં પરંતુ લોકશાહીના મજબૂત સ્તંભ એવા ન્યાયતંત્ર પર કરોડો નાગરિકોના વિશ્વાસનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર નાગરિકોને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ આપવા માટે કટિબદ્ધ છે. ત્યારે ન્યાયતંત્ર જેટલું મજબૂત હશે, દેશની લોકશાહી તેટલી જ કાયમી અને સુદ્રઢ બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની કાયમી ભાવના રહી છે કે સામાન્યમાં સામાન્ય નાગરિકને પરવડે તેવો અને સુલભ ન્યાય સમયસર મળી રહેવો જોઈએ. જેમ મજબૂત રસ્તાઓ વિકાસ લાવે છે, તેમ મજબૂત ન્યાયિક સંસ્થાઓ સમાજમાં વિશ્વાસનું વાતાવરણ પૂરું પાડે છે. આ આધુનિક ન્યાય સંકુલ ટેક્નોલોજીના માધ્યમથી ન્યાય વ્યવસ્થાને વધુ સરળ અને અસરકારક બનાવશે. આ પરિસરમાં વકીલ મિત્રો માટે પણ અલગ અત્યાધુનિક બિલ્ડિંગનું નિર્માણ કરાશે, જેથી કામગીરી વધુ સુગમ બનશે.
સમગ્ર ગુજરાતમાં સામાન્ય નાગરિકો માટે ન્યાયની સુલભતા વધારવા માટે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલના પ્રયાસોને બિરદાવતા મંત્રીએ જણાવ્યું કે, ન્યાયમૂર્તિ નો અભિગમ હંમેશાં અરજદારોની મુશ્કેલીઓ નિવારવાનો અને વિવાદોના ઝડપી નિકાલ માટે મધ્યસ્થીને વિશેષ મહત્વ આપવાનો રહ્યો છે.
ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશ અને ગાંધીનગર જિલ્લાના વહીવટી ન્યાયમૂર્તિ નીરલ આર. મહેતાએ આ પ્રસંગે વકિલાતની શરુઆત સમયના અને કલોલ કોર્ટ તથા તાલુકા સાથેના સંસ્મરણો ભાવુકતા સાથે વાગોળતા જણાવ્યું હતું કે, જ્યાંથી શરૂઆત કરી તેજ કોર્ટ સ્થળના ભૂમિ પૂજનમાં ઉપસ્થિત રહેવું એ અદભુત અને યાદગાર ક્ષણ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ