
નવસારી, 06 જુલાઈ (હિ.સ.) : નવસારી જિલ્લામાં ભારે વરસાદ બાદ હાલ વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ તેની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. માર્ગ અને મકાન વિભાગના 5 જુલાઈ સાંજે 5 વાગ્યાના અહેવાલ મુજબ જિલ્લામાં કુલ 23 માર્ગો પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે. અગાઉ પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને કારણે અનેક રસ્તાઓ પર હજુ પણ પાણી ભરાયેલા હોવાથી લોકોને અવરજવર માટે લાંબા ચક્કર લગાવવા પડી રહ્યા છે.
તંત્રના જણાવ્યા મુજબ, ઘણા માર્ગો પર પાણી રસ્તા પરથી પસાર થતું હોવાથી સલામતીને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત, અંબિકા નદી પર કેટલાક સ્થળોએ જરૂરી માળખાકીય સુવિધાનો અભાવ હોવાથી પણ રસ્તાઓ બંધ રાખવાની સ્થિતિ સર્જાઈ છે. જોકે વિભાગે 12 માર્ગોનું સમારકામ પૂર્ણ કર્યું છે અને જ્યાં પાણીનું સ્તર ઘટશે ત્યાં તાત્કાલિક વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવશે.
હાલમાં નવસારી તાલુકાના 11, ચીખલીના 4, ગણદેવીના 4, જલાલપોરના 2 તેમજ ખેરગામ અને વાંસદાના 1-1 માર્ગ બંધ છે. જિલ્લા તંત્રે અસરગ્રસ્ત વિસ્તારો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરી છે અને 7 જુલાઈ સુધીમાં મોટાભાગના માર્ગો ફરી શરૂ થઈ સ્થિતિ સામાન્ય બનવાની આશા વ્યક્ત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે