




પોરબંદર, 06 જુલાઈ (હિ.સ.) પોરબંદર તાલુકા ભાજપ દ્વારા આયોજિત બે દિવસીય ‘પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026’ અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગનું રવિવારે સફળતાપૂર્વક સમાપન થયું હતું. 4 અને 5 જુલાઈ દરમિયાન યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગમાં સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લઈ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
પ્રશિક્ષણ દરમિયાન પૂજ્ય પંડિત દીનદયાલ ઉપાધ્યાય, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના જીવનમૂલ્યો તેમજ ‘રાષ્ટ્ર પ્રથમ’ વિચારને કેન્દ્રસ્થાને રાખી મૂલ્ય આધારિત રાજનીતિ, સંગઠન વ્યવસ્થાપન અને કાર્યપદ્ધતિ જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેન્દ્રીય કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભાજપના વરિષ્ઠ આગેવાનો વિજય થાનકી, કપિલ કોટેચા અને લક્કીરાજસિંહ વાળા સહિતના વક્તાઓએ કુલ સાત વિવિધ વિષયો પર માર્ગદર્શન આપી કાર્યકર્તાઓને સંગઠનના વિચારો અને કાર્યપદ્ધતિ અંગે માહિતગાર કર્યા હતા.
કાર્યશાળામાં પોરબંદર તાલુકા ભાજપની સંગઠન ટીમ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ મોરચાના પદાધિકારીઓ તેમજ શક્તિ કેન્દ્રોના સંયોજકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા ભાજપ પ્રમુખ રાણા મોઢવાડિયા, તાલુકા ભાજપની ટીમ અને યુવા ભાજપના કાર્યકર્તાઓએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya