


- પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય ,સુરક્ષા ,શિક્ષણ,આરોગ્ય અને પ્રગતિની ચિંતા સાથે ચિંતન થયું
- યુવા સંગઠન ,જીપીબીઓના યુવાનો તમે હોસિલા ,જોશીલા અને પ્રભાવી છો જવાબદારી ઉઠાવો ગગજી સુતરીયા
ભરૂચ,06 જુલાઈ (હિ.સ.) અમદાવાદ ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં પ્રથમ દિવસે સ્થાપક ટ્રસ્ટીઓ, ટ્રસ્ટીઓ, જીપીબીઓ અને યુવા સંગઠનના હોદ્દેદારોએ શિક્ષણ, સમૃદ્ધિ, સુરક્ષા, એકતા, નેતૃત્વ જેવા વિષયો પર વ્યાપક મનોમંથન કરી વર્ષ 2047 સુધીના સર્વાંગી વિકાસ માટે દિશા નિર્ધારિત કરી.સરદારધામ દ્વારા આયોજિત ઐતિહાસિક ચિંતન શિબિરનો પ્રથમ દિવસ ખૂબ જ ઉત્સાહજનક અને પ્રેરણાદાયી માહોલમાં પૂર્ણ થયો છે. આ શિબિરમાં ભાગ લેનાર તમામ શિબિરાર્થીઓ માટે આ એક તદ્દન અલગ અને સકારાત્મક ઉર્જા આપનારો અનુભવ સાબિત થયો હતો. પ્રથમ દિવસના અંતે સમગ્ર પાટીદાર સમાજ એક ચોક્કસ વિઝન અને દૂરંદેશી સાથે કામ કરી રહ્યો છે, તેવો દ્રઢ વિશ્વાસ શિબિરાર્થીઓમાં પ્રસ્થાપિત થયો હતો.
શિબીરના સવારના ઉદ્ઘાટન સત્રમાં સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયાએ 2016 થી 2026 સુધીમાં જે કંઈપણ કામો થયા તેનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. આ સાથે હવેના બે દાયકામાં એટલે કે 2047 સુધીમાં આગળ જે કાર્યો કરવાના છે તેની વિભાવના પણ પ્રસ્તુત કરી હતી.ચિંતન શિબિરનો મુખ્ય આશય શું છે તેની સ્પષ્ટતાઓ હાજર તમામ શિબિરાર્થીઓની સમક્ષ કરી હતી. ઉદ્ઘાટન સત્ર પૂર્ણ થયા બાદ શિબિરાર્થીઓ જુદા જુદા ગ્રુપ 12 ગૃપોમાં વહેંચાઈ ગયા હતા. શિબીરના પ્રથમ સત્રમાં એક સંકલ્પ સમૃધ્ધિ કી ઓર અને એક સંકલ્પ શિક્ષીત સમાજ કી ઓર તે વિષય વિચાર મંથન થયું હતું. બપોર પછીના બીજા બે સેશન એક સંકલ્પ સુરક્ષા કી ઓર અને એક સંકલ્પ યુનિટી/લિડરશીપ કી ઓરમાં પણ આ જ રીતે સવારની જેમ જ 12 ગ્રુપોમાં ચર્ચા થઈ હતી.
પ્રશ્નોત્તરી માટે ઓપન સેશન રાખવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતિમ ચરણમાં એક વિશેષ 'ઓપન સેશન' રાખવામાં આવ્યું હતું. જેમાં શિબિરાર્થીઓને આગેવાનો સાથે સીધો સંવાદ કરવાની તક મળી હતી.
જેમાં આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સત્ર દરમિયાન હાજર રહેલા ઉત્સાહી શિબિરાર્થીઓએ સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયા અને અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજ સેવક ગોવિંદ ધોળકિયાને સમાજ અને સંગઠનને લગતા વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા.જેના તાર્કિક અને સચોટ ઉત્તરો આપ્યા હતા. બંને વિઝનરી આગેવાનોએ શિબિરાર્થીઓના પ્રશ્નોના ખૂબ જ સુંદર, સચોટ અને તર્કબદ્ધ ઉત્તરો આપીને તેમની જિજ્ઞાસાઓનું સમાધાન કર્યું હતું અને યુવાઓને નવી દિશા ચિંધી હતી.
કાર્યક્રમના અંતમાં કેશુ ગોટીએ ખુબ સરસ વાતો સૌની સમક્ષ પ્રસ્તુત કરી તેમણે જણાવ્યું કે પ્રત્યેક વ્યક્તિએ પોતાના સમાજ માટે પણ કંઈક કરવું જોઈએ.આ ચિંતન શિબિરના અધ્યક્ષ ગોવિંદ ધોળકિયાએ તેમના વક્તવ્યમાં એ બાબત પર ખાસ ભાર મૂક્યો કે પ્રત્યેક વ્યક્તિએ પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ. જે વ્યક્તિ આર્થિક દ્રષ્ટિએ સુખી સંપન્ન હોય તે વ્યક્તિએ સમાજના અન્ય વંચિત લોકોને આગળ લાવે અને એમનો પણ વિકાસ થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. આવા કાર્ય કરતી વખતે બીજા કદાચ કોઈ ટીકા કરે તો એવી ટીકા ધ્યાને ધર્યા વગર વ્યક્તિએ પોતાનું સદકાર્ય સતત ચાલુ રાખવું જોઈએ ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે આપણો અધિકાર માત્ર કર્મ ઉપરનો છે ફળ પર આપણો અધિકાર નથી એટલે સામાજિક ક્ષેત્રે કામ કરતી દરેક વ્યક્તિએ પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠાપૂર્વક પ્રકાશ પાડવો જોઈએ.ફળની આશા નહિ રાખતા ભગવાન પર છોડી દેવું જોઈએ. આ સત્રમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ એચ.એસ પટેલ પણ હાજર રહ્યા હતા અને એમણે જાહેર જીવનમાં માન અને અપમાનની ચિંતા કરવી નહીં એમ ખુબ સરસ સંદેશો લોકોની સમક્ષ વ્યક્ત કર્યો હતો.
પ્રથમ દિવસની સફળ પૂર્ણાહુતિ થઈ હતી. વૈચારિક આદાન-પ્રદાન અને માર્ગદર્શનના આ સત્ર સાથે જ ચિંતન શિબિરના પ્રથમ દિવસની ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી. તમામ સહભાગીઓએ આ આયોજનને ઐતિહાસિક ગણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ