
જામનગર, 06 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના વાઘેરવાડા વિસ્તારમાં વીજ ચોરીની તપાસ કરવા ગયેલા પીજીવીસીએલના સ્ટાફ સાથે ઝપાઝપી, અભદ્ર વર્તન, રૂમમાં બંધ કરી દેવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટનામાં ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધાવાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ પીજીવીસીએલમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા કોમલબેન રવિ ચંદારાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પોતાના સ્ટાફ ધર્મેન્દ્રભાઈ રમેશભાઈ પરમાર તથા એસ.આર.પી.ના એ.એસ.આઈ. ઈશ્વરભાઈ સુખાભાઈ મિયાત્રા સાથે તા. 4 જુલાઈની વહેલી સવારે વાઘેરવાડા વિસ્તારમાં વીજ ચેકિંગ માટે ગયા હતા. તપાસ દરમિયાન ભાયાના ડેલા વિસ્તારમાં આવેલા મુનાવર જુસબભાઈ ભાયાના મકાનમાં પીજીવીસીએલનું કોઈ કાયદેસર વીજ જોડાણ ન હોવાનું અને વીજ ચોરી થતી હોવાની શંકા ઉભી થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
તે દરમિયાન મુનાવરભાઈના પુત્ર મુર્તુઝા મુનાવર ભાયા પાસે ઓળખપત્ર માંગતાં તેણે આપવાનો ઇનકાર કરી ઉશ્કેરાઈ જઈ મહિલા ઇજનેર અને સ્ટાફ સાથે બોલાચાલી કરી અભદ્ર ભાષામાં ગાળો આપી હતી. ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉપરના રૂમમાં રહેલા ઇલેક્ટ્રોનિક્સ સામાનનો વીડિયો ઉતારતી વખતે મુર્તુઝાએ મહિલા ઇજનેર સાથે ઝપાઝપી કરી મોબાઇલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલા ઇજનેર અને સ્ટાફ રૂમમાં હાજર હતા ત્યારે બહારથી દરવાજો બંધ કરી તેમને અંદર ગોંધી રાખવામાં આવ્યા હતા. બાદમાં એસ.આર.પી.ના એ.એસ.આઈ.એ દરવાજો ખોલી તમામને બહાર કાઢ્યા હતા.
ફરિયાદ અનુસાર ત્યારબાદ મુર્તુઝા તથા એક અજાણી મહિલાએ સ્ટાફ સાથે અભદ્ર ભાષામાં ગાળો આપી હતી અને સ્થળ છોડતી વખતે મુનાવર જુસબભાઈ ભાયાએ હું 100 લોકોને લઈને આવીશ અને તમને જોઈ લઈશ કહી ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે મુનાવર જુસબભાઈ ભાયા, મુર્તુઝા મુનાવર ભાયા તથા એક અજાણી મહિલા સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની સંબંધિત કલમ 127(2), 221, 115(2), 352, 351(2), 54 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt