
-હાથમાં ઈજા, હોસ્પિટલમાં સારવાર ચાલુ
નાંદેડ, નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળ (બાદલ)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ પર આજે, ગુરુવારે મહારાષ્ટ્રના નાંદેડમાં હુમલો કરવામાં આવ્યો. આ ઘટના ઐતિહાસિક ગુરુદ્વારા સાહિબની બહાર બની હતી. પ્રારંભિક માહિતી મુજબ હુમલામાં સુખબીર સિંહ બાદલના હાથમાં ઈજા થઈ છે. તેમને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાના સમયે તેમના પરિવારજનો પણ સાથે હતા.
આધિકારિક માહિતી મુજબ સુખબીર સિંહ બાદલ ગુરુદ્વારા સાહિબમાં પ્રવેશવા માટે વાહનમાંથી ઉતરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ અચાનક તેમના પર હુમલો કરી દીધો. આ ઘટનાના બાદ પરિસરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાદલની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તરત જ સ્થિતિ પર કાબૂ મેળવી હુમલાખોરને કસ્ટડીમાં લઈ લીધો. ત્યારબાદ સુખબીર સિંહ બાદલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
હુમલા પાછળનું વાસ્તવિક કારણ હજી સ્પષ્ટ થયું નથી. આરોપીની ઓળખ અને તેણે કયા હેતુથી હુમલો કર્યો, તેની પોલીસ તપાસ કરી રહી છે. હુમલાનો સંપૂર્ણ ઘટનાક્રમ જાણવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ ચાલુ છે.
ઘટના બાદ ગુરુદ્વારા પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. સુખબીર સિંહ બાદલની ઈજાની ગંભીરતા અને તેમની આરોગ્ય સ્થિતિ અંગે ડોક્ટરોની અધિકૃત માહિતી હજી સામે આવવાની બાકી છે.
આ પહેલાં 4 ડિસેમ્બર 2024ના રોજ અમૃતસર સ્થિત શ્રી હરમંદિર સાહિબની બહાર પણ સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયે અકાલ તખ્ત સાહિબ દ્વારા સંભળાવવામાં આવેલી ધાર્મિક સજા હેઠળ તેઓ સેવાદાર તરીકે સેવા આપી રહ્યા હતા. બાદલ વ્હીલચેર પર બેસીને હાથમાં ભાલો લઈને પહેરો આપી રહ્યા હતા, ત્યારે નારાયણ સિંહ ચૌરા નામના એક વ્યક્તિએ તેમના પર ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદલ આ હુમલામાં માંડ માંડ બચી ગયા હતા. સ્થળ પર હાજર સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને તરત જ કસ્ટડીમાં લઈ લીધો હતો.
અમૃતસરની ઘટનાના સમયે સુખબીર સિંહ બાદલ વર્ષ 2007થી 2017 વચ્ચે અકાલી દળ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માટે અકાલ તખ્ત સાહિબ દ્વારા સંભળાવવામાં આવેલી ધાર્મિક સજા હેઠળ સેવા કરી રહ્યા હતા. તેમણે શ્રી હરમંદિર સાહિબની બહાર સેવાદાર તરીકે સેવા આપી હતી. ગોળી ચલાવવાના પ્રયાસ છતાં તેમણે પોતાની ધાર્મિક સેવા ચાલુ રાખી અને બાદમાં અન્ય ગુરુદ્વારાઓમાં પણ સેવા પૂર્ણ કરી હતી.
નાંદેડમાં થયેલી હુમલાની તાજી ઘટનાના બાદ સુખબીર સિંહ બાદલની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ધાર્મિક સ્થળની બહાર તેમના પર ફરીથી હુમલાની ઘટના સામે આવતાં સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલ, પોલીસ તપાસ અને હોસ્પિટલમાંથી મળનારી મેડિકલ રિપોર્ટ બાદ જ આ હુમલાની વાસ્તવિક પ્રકૃતિ અને પૃષ્ઠભૂમિ સ્પષ્ટ થવાની શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ