
નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) રક્ષા રાજ્યમંત્રી અને ઝારખંડથી ભાજપના સાંસદ સંજય સેઠે, ઝારખંડ સરકાર પર યુવાનો સાથે અન્યાય કરવાનો અને સરકારી ભરતી પ્રક્રિયામાં ગડબડી કરવાનો આરોપ લગાવ્યો છે. સંસદ પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ઝારખંડમાં થયેલા પ્રદર્શન દરમિયાન યુવાનો સામે નોંધાયેલી એફઆઈઆર અને પરીક્ષાના પરિણામમાં થયેલી અનિયમિતતા માટે સરકારને સીધી રીતે જવાબદાર ઠેરવી હતી.
સંજય સેઠે આરોપ લગાવ્યો કે, ઝારખંડમાં પ્રદર્શન બાદ લગભગ 600 યુવાનો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમનું કહેવું છે કે, આ યુવાનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા પહોંચ્યા હતા અને તેમણે ન તો હિંસા કરી હતી, ન તો પથ્થરમારો કર્યો હતો. આવી સ્થિતિમાં તેમની સામે કેસ નોંધવો ન્યાયસંગત નથી. તેમણે મુખ્યમંત્રી નિવાસસ્થાનની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, પ્રદર્શન પહેલાં સમગ્ર શહેરમાં બેરિકેડિંગ અને રેઝર વાયર લગાવવામાં આવ્યા હતા. હવે મુખ્યમંત્રી નિવાસસ્થાનની આસપાસ પણ રસ્તાઓને રેઝર વાયરથી બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે લોકોની અવરજવર પ્રભાવિત થઈ રહી છે.
સંજય સેઠે સીડીપીઓ પરીક્ષાના પરિણામને લઈને પણ ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે, બીજા સ્થાને આવેલા પ્રમોદ કુમાર પાઠકનો કથિત રીતે ઉત્તર પ્રદેશના એક ‘સોલ્વર ગેંગ’ સાથે સંબંધ રહ્યો છે અને તે અગાઉ જેલ પણ જઈ ચૂક્યો છે. સેઠે દાવો કર્યો કે તેમ છતાં તે ઝારખંડ સરકારમાં અધિકારીના પદ પર છે. ભાજપ નેતાએ આ આરોપોની નિષ્પક્ષ તપાસ માટે સીબીઆઈ તપાસની માંગ કરી. તેમણે કહ્યું કે ઝારખંડના યુવાનોને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જોઈએ છે અને આ મામલે સીબીઆઈ તપાસથી ઓછું કંઈ પણ તેમને સ્વીકાર્ય નહીં હોય.
હિન્દુસ્થાન સમાચાર / સોરવ રાય / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ