
ચેંગલપટ્ટુ, નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). ચેંગલપટ્ટુ જિલ્લાના કટ્ટાનકુલત્તૂર સ્થિત એસઆરએમ યુનિવર્સિટી પરિસરમાં આયોજિત 22મા દીક્ષાંત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને, વિદ્યાર્થીઓને ડિગ્રીઓ પ્રદાન કરી. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે અનુશાસન, સારા આચરણ અને જવાબદારીની ભાવના વિકસાવવા તથા વ્યક્તિગત સફળતાની સાથે દેશના વિકાસમાં યોગદાન આપવા આહ્વાન કર્યું.
સમારોહને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, આજે ડિગ્રી પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓ એ વાતનો પુરાવો છે કે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરી શકાય છે. તેમણે કહ્યું કે, દીક્ષાંત સમારોહ ફક્ત ડિગ્રી પ્રાપ્ત કરવાનો અવસર નથી, પરંતુ વિદ્યાર્થીઓના અનુશાસન, કાર્યશૈલી અને જીવન પ્રત્યેના સર્વગ્રાહી દૃષ્ટિકોણનો પણ એક મહત્વપૂર્ણ પડાવ છે.
કોરોના મહામારી દરમિયાન ભારતની ભૂમિકાનો ઉલ્લેખ કરતા સી.પી. રાધાકૃષ્ણને કહ્યું કે, ભારતમાં નિર્મિત દવાઓ દુનિયાના વિવિધ દેશો સુધી પહોંચી. મહામારી દરમિયાન ભારતના દવા ઉત્પાદન અને ચિકિત્સા ક્ષેત્રના યોગદાનની અનેક દેશોએ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે તાજેતરમાં કેન્યાની સંસદે પણ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. ભારતે મહામારી દરમિયાન ફક્ત પોતાના નાગરિકોની જરૂરિયાતો પૂરી કરી નહીં, પરંતુ વિવિધ દેશોને પણ આવશ્યક દવાઓ ઉપલબ્ધ કરાવી.
તેમણે કહ્યું કે, ભારત દુનિયાની પ્રમુખ આર્થિક શક્તિઓમાં ઝડપથી ઉભરી રહ્યું છે. આર્થિક રીતે ચોથા સ્થાને સ્થિત ભારત જલ્દી જ ત્રીજા સ્થાન તરફ આગળ વધી રહ્યું છે. દેશને ભવિષ્યમાં દુનિયાની અગ્રણી આર્થિક શક્તિ બનાવવા માટે વિવિધ સ્તરો પર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, વર્ષ 2014 પછી દેશમાં ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને એમ્સ જેવા મેડિકલ સંસ્થાનો સહિત શૈક્ષણિક તેમજ સ્વાસ્થ્ય ક્ષેત્રના માળખાકીય સુવિધાઓનો વિસ્તાર થયો છે. દેશના વિકાસ અને ભવિષ્યના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.
તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, તેઓ પોતાની વ્યક્તિગત પ્રગતિ સુધી સીમિત ન રહે, પરંતુ દેશના વિકાસમાં પણ સક્રિય યોગદાન આપે. તેમણે કહ્યું કે અભ્યાસક્રમ દ્વારા પ્રાપ્ત શિક્ષણ વિદ્યાર્થીઓને ડિગ્રી અપાવી શકે છે, પરંતુ જીવનમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે શિક્ષણની સાથે અનુશાસન, સારું આચરણ અને જવાબદારીની ભાવના પણ જરૂરી છે.
સી.પી. રાધાકૃષ્ણને યુવાનોને દારૂ અને નશીલા પદાર્થોથી સંપૂર્ણપણે દૂર રહેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે નશીલા પદાર્થોના સેવન સંબંધિત સમાચારો સતત સામે આવી રહ્યા છે. નશો યુવાનોના ભવિષ્ય માટે કોઈપણ સ્વરૂપમાં લાભદાયક નથી અને તેનાથી સ્વાસ્થ્ય તેમજ જીવન પર ગંભીર પ્રતિકૂળ અસર પડી શકે છે.
તેમણે વિદ્યાર્થીઓને સારા વ્યવહાર અને સકારાત્મક આદતો વિકસાવવા તથા પોતાના ભવિષ્યનું જવાબદારીપૂર્વક નિર્માણ કરવા આહ્વાન કર્યું. સાથે જ, દેશના કાયદાઓ અને નિયમોનું સન્માન કરતા આચરણ કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, યુવાનોએ પોતાની પ્રતિભાનો ઉપયોગ સમાજની પ્રગતિ અને દેશના વિકાસ માટે કરવો જોઈએ.
ઉપરાષ્ટ્રપતિએ દીક્ષાંત સમારોહમાં સામેલ વાલીઓને પણ અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓના શિક્ષણ અને આજે ડિગ્રી હાંસલ કરવામાં વાલીઓના સમર્થન અને પ્રોત્સાહનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમણે બાળકોના શિક્ષણ માટે અથાક પ્રયાસો કરનારા વાલીઓની પ્રશંસા કરી.
તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, યુનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રાપ્ત કરવાની સાથે શીખવાની પ્રક્રિયા સમાપ્ત થવી ન જોઈએ. જીવનભર નિરંતર શીખતા રહેવાની આદત વિકસાવવી જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને દરરોજ ઓછામાં ઓછો એક કલાક નવી વસ્તુઓ શીખવા માટે સમર્પિત કરવા આગ્રહ કર્યો.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, વિદ્યાર્થીઓ નવી શોધો, ઉભરતી ટેકનોલોજીઓ કે વ્યક્તિગત ક્ષમતાઓના વિકાસ જેવા વિષયોમાંથી કોઈપણ એક પર નિયમિતપણે શીખી શકે છે. સતત નવી જાણકારી હાંસલ કરવા અને પોતાના કૌશલ્યોને વિકસાવવાથી તેઓ બદલાતી દુનિયાના પડકારો માટે વધુ સારી રીતે તૈયાર થઈ શકશે.
તેમણે કહ્યું કે, દીક્ષાંત સમારોહમાં ડિગ્રી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં પોતાની પ્રતિભાનો ઉપયોગ દેશના વિકાસ માટે કરવો જોઈએ. ભારતની પ્રગતિમાં યુવાનોની ભૂમિકા નિર્ણાયક રહેશે. તેમણે વિદ્યાર્થીઓને વ્યક્તિગત સફળતાની સાથે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારીઓને પણ સમજવા આહ્વાન કર્યું.
અંતમાં ઉપરાષ્ટ્રપતિએ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો અને પોતાનું સંબોધન સમાપ્ત કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / ડો. વારાપ્રસાદ રાવ / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ