



પોરબંદર, 02 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં આજદિન સુધી છાયા, અડવાણા અને કુતિયાણા વિસ્તારના કુલ ત્રણ બાળકોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. ત્રણેય કેસના સેમ્પલ તપાસ માટે જીબીઆરસી (GBRC), ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. તપાસના અહેવાલ મુજબ ત્રણેય કેસ નેગેટિવ આવ્યા હોવાથી હાલમાં પોરબંદર જિલ્લામાં ચાંદીપુરાનો એકપણ પુષ્ટિ થયેલો કેસ નોંધાયો નથી.
આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત તમામ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ અને સ્થાનિક નાગરિકોને ચાંદીપુરા રોગ અંગે જાગૃત કરી જરૂરી આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું છે.
જિલ્લા આરોગ્ય તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે, ચાંદીપુરા જેવા રોગોથી બચવા માટે ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવે, મચ્છર અને અન્ય જીવાતોનો ઉપદ્રવ ન થાય તેની કાળજી રાખે તેમજ નાના બાળકોને મચ્છરદાનીમાં સુવડાવે. સાથે જ બાળકોમાં બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya