
પોરબંદર, 02 ઓગસ્ટ (હિ.સ.) : રાણાવાવ પોલીસે વધુ એક સરાહનીય કામગીરી કરતાં મોકર ગામેથી ગુમ થયેલા સગીર બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના વાલી-વારસને સહીસલામત સોંપ્યો છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી બાળકને ચોટીલાથી શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન તેમજ પોરબંદર જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ જિલ્લામાં ગુમ અને અપહરણ થયેલા બાળકોને શોધવા માટે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. તે અંતર્ગત રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા બાળક અંગે ગુનો નોંધાયા બાદ પોલીસની અલગ-અલગ ટીમોએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. રાણાવાવ પોલીસ ઇન્સ્પેક્ટર બી. જી. ડાંગરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર. વી. મોરી તેમજ રાણાવાવ પોલીસ અને પોરબંદર એલસીબીની ટીમે સતત પ્રયાસો કર્યા હતા.
તપાસ દરમિયાન મળેલા ટેકનિકલ પુરાવા અને હ્યુમન સોર્સિસના આધારે બાળક ચોટીલા ખાતે હોવાનું જાણવા મળતાં તેને સુરક્ષિત રીતે શોધી કાઢી વાલી-વારસને સોંપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya