
ભાવનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર મંડળમાં રેલ કર્મચારીઓ તથા તેમના પરિવારોના કલ્યાણ માટે સતત માનવીય અને સંવેદનશીલ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં ડિવિઝનલ સ્ટાફ રિલીફ એન્ડ વેલફેર ફંડ (DSRWF) મારફતે સાવરકુંડલા સ્ટેશન પર કાર્યરત ટ્રેક મેન્ટેનરના નિધનને કારણે તેમના પરિવારને તાત્કાલિક ₹50,000/-ની સહાય રકમ આપવામાં આવી.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન તથા વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગનની દેખરેખ હેઠળ રેલ કર્મચારીઓ તથા તેમના આશ્રિત પરિવારોને જરૂરિયાતના સમયે શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માનવીય પહેલ અંતર્ગત દિવંગત રેલકર્મીના પરિવારને DSRWF મારફતે ₹50,000/-ની તાત્કાલિક સહાય રકમ આપવામાં આવી.
આ ઉપરાંત, ભાવનગર મંડળ દ્વારા આકસ્મિક રાહત તરીકે ₹25,000/-ની વધારાની સહાય રકમ પણ આપવામાં આવી, જેથી મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારને જરૂરી આર્થિક સહારો મળી શકે.
DSRWF મારફતે રેલ કર્મચારીઓને સંકટ તથા મૃત્યુ જેવી પરિસ્થિતિઓમાં તાત્કાલિક આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પહેલ રેલ કર્મચારીઓના કલ્યાણ પ્રત્યે ભાવનગર મંડળની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. મંડળ પ્રશાસન દ્વારા કર્મચારીઓ તથા તેમના પરિવારોના હિતમાં કલ્યાણકારી પ્રવૃત્તિઓને સતત પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ