
ગીર સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.)
ગીર સોમનાથ શિવની ભકિતના પવિત્ર શ્રાવણ માસમાં વેરાવળ ડેપો એસ.ટી.પરિવાર દ્વારા સોમનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવી હતી.
શ્રાવણ માસમાં દૂર-દૂરથી શિવભકતો આસ્થા સાથે પ્રથમ જ્યોતિર્લિંગના દર્શને આવતા હોય છે. શ્રદ્ધાળુઓના સરળ આવાગમનમાં એસ.ટી નિગમનો પણ સિંહફાળો રહ્યો છે. ત્યારે વેરાવળ એસ.ટી. ડેપોના અધિકારીઓ-કર્મચારીઓએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.
મંદિર પરિસરમાં વેરાવળ એસ.ટી. ડેપો મેનેજર દિલીપ શામળા અને કર્મચારીઓને ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી. જેમાં સમગ્ર વેરાવળ એસ.ટી. પરિવારે ધ્વજાપૂજાનો લ્હાવો લીધો હતો.
આ સાથે જ સમગ્ર વેરાવળ એસ.ટી.પરિવારના કર્મચારીઓએ સોમનાથ મહાદેવના ભવ્ય દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ