
મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)
વડનગરની પવિત્ર અને ઐતિહાસિક ધરતી પર શ્રાવણોત્સવ-2026 અંતર્ગત ભવ્ય ‘ડમરુ યાત્રા’ યોજાઈ હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ યાત્રામાં મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી સહભાગી થયા હતા.
108 નિષ્ણાત કલાકારોએ એકસાથે ડમરુ વાદન કરતાં સમગ્ર વડનગર શિવમય બન્યું હતું.
વહેલી સવારે ઐતિહાસિક કીર્તિ તોરણથી યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રા અર્જુન બારી, ભગત પાનધર, જુના ચાયરે, સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર સહિતના ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળો પરથી પસાર થઈ હતી. ડમરુના ગુંજારવ અને શિવભક્તિના નાદ વચ્ચે મોટી સંખ્યામાં નગરજનો યાત્રામાં જોડાયા હતા.
મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી યાત્રા પૌરાણિક શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. અહીં પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ શ્રદ્ધાળુઓને પ્રસાદ અને શિવ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
યાત્રામાં ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ કલાજી ઠાકોર, કમલભાઈ પટેલ, મયંકભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR