
જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં હડકાયા શ્વાને આતંક મચાવી એક પછી એક આઠ લોકોને બચકાં ભરી લેતાં ઇજાગ્રસ્તોને ધ્રોલમાં પ્રાથમિક સારવાર બાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
બનાવની વિગત મુજબ શહેર અને જિલ્લા સહિત સમગ્ર દેશભરમાં રખડતાં કૂતરાંઓ અને પશુઓનો ત્રાસ અસહ્ય અને ગંભીર બનતી જાય છે. આ સમસ્યાનો ઉકેલ લઇ આવવામાં તંત્ર અને સરકાર ઉણા ઉતરે છે. જેના કારણે દેશમાં રખડતાં ઢોર વાહનો સાથે અથડાતાં અકસ્માતમાં મોતની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે રખડતાં શ્વાન લોકોને કરડી જવાની સંખ્યા પણ અનેકગણી વધી ગઇ છે. દેશની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ રખડતાં ઢોર અને કૂતરાંઓના ત્રાસથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોઇપણ રસ્તા ઉપરથી ચાલીને કે બાઇક પર પસાર થવું મુશ્કેલ બની ગયું છે. તેમાં પણ ખાસ કરીને રાત્રિના સમયે તો ચાલીને નીકળવુ અશક્ય જ બની ગયું છે. ત્યારે ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં હડકાયા શ્વાને આતંક મચાવી દીધો છે. આ હડકાયા શ્વાને એક પછી એક આઠ લોકોને બચકાં ભરી લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત લોકોને સૌપ્રથમ ધ્રોલની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt