




પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.)ચોપાટી
ખાતે પોરબંદર મહાનગરપાલિકા અને JCI પોરબંદરના
સંયુક્ત ઉપક્રમે પોરબંદરનો 1037મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવાયો હતો.
શ્રાવણી પૂનમના દિવસે પોરબંદરનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. આ પ્રસંગે
દરિયાદેવની મહાઆરતી સહિત વિવિધ સાંસ્કૃતિક
કાર્યક્રમો યોજાયા હતા.ઐતિહાસિક માહિતી મુજબ પોરબંદરની
સ્થાપના વિક્રમ સંવત 1045 એટલે કે ઈ.સ. 989માં શ્રાવણ સુદ પૂનમના દિવસે જેઠવા વંશના રાજવી
દ્વારા કરવામાં આવી હોવાનું મનાય છે. સ્થાપના
દિવસની ઉજવણી અંતર્ગત પોરબંદરના ભવ્ય ઇતિહાસ
અને સંસ્કૃતિને ઉજાગર કરતો ‘મારી અંદર
પોરબંદર’થીમ આધારિત મલ્ટી મીડિયા શો રજૂ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં ડાન્સ માસ્ટર એકેડેમી, ઉત્સાહી ગરબા ગ્રુપ, ચામુંડા રાસ મંડળ બોખીરા અને બરડા ગર્લ્સગ્રુપ સહિતના 46 જેટલા કલાકારોએ એક સાથે પરફોર્મન્સ રજૂ કર્યું હતું.
કલાકારોની મનમોહક રજૂઆતે ચોપાટી ખાતે ઉપસ્થિત
વિશાળ જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી.આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુન
મોઢવાડિયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, જિલ્લાવિકાસ
અધિકારી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તિરથાણી, ડેપ્યુટી મેયર મનિષ શિયાળ, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સાંદિપનીના
ઋષિકુમારો દ્વારા દરિયાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતીમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત નગરજનો એ પણ જોડાઈ પોરબંદરના
સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા JCI પોરબંદરના સ્થાપક
પ્રમુખ લાખણશી ગોરાણિયા, પ્રમુખ પ્રતીક લાખાણી, સેક્રેટરી વિવેક લાખાણી સહિત JCI પોરબંદરની ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન મિલન પાણખાણીયા અને બિરાજ કોટેચાએ કર્યું હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya