




વડોદરા , 03 ઓગસ્ટ (હિ.સ.)
સંસ્કારી નગરી વડોદરામાં ગણેશોત્સવને લઈને ગણેશભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના કાલુપુરા સાર્વજનિક શ્રી ગણેશોત્સવ મંડળ દ્વારા આગામી ગણેશોત્સવની તૈયારીઓના ભાગરૂપે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભવ્ય પાટ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.
પાટ પૂજન કાર્યક્રમમાં મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગણેશભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિધિવત પૂજન કરવામાં આવ્યું અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ સાથે આ વર્ષના ગણેશોત્સવની તૈયારીઓનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મંડળના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને ભક્તિમય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવશે. ધાર્મિક કાર્યક્રમો સાથે સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે, જેથી ઉત્સવમાં દરેક વર્ગના લોકો જોડાઈ શકે.
તેમણે જણાવ્યું કે મંડળના સ્થાપક વડીલો દ્વારા શરૂ કરાયેલી આ પરંપરાને આજે યુવા કાર્યકર્તાઓ ઉત્સાહ અને સમર્પણ સાથે આગળ ધપાવી રહ્યા છે. આ પરંપરા માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ સમાજમાં એકતા, સેવા અને સાંસ્કૃતિક મૂલ્યોને પણ મજબૂત બનાવે છે.
કાર્યક્રમના અંતે ભક્તોએ *ગણપતિ બાપ્પા મોરિયા... હી શાન કાલુપુરા ચા રાજા ચી...*ના ગગનભેદી જયઘોષ સાથે ભગવાન ગણેશનો મહિમા ગાયો હતો. ત્યારબાદ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ઉજાસ અને ઉત્સાહથી ઝળહળી ઊઠ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ