
ગીર સોમનાથ, 03 ઓગસ્ટ (હિ.સ.) : ગીર સોમનાથ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા સૂત્રાપાડા તાલુકાના વાસાવડ ગામે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તબક્કાવાર ખેતી વિશે જાણકારી તેમજ વિવિધ યોજનાકીય સહાય વિશે અવગત કરાવવામાં આવ્યાં હતાં.
આ શિબિરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી તેમજ સરકારની બાગાયત ખાતાને સંલગ્ન વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલિમ કાર્યક્રમમાં બાગાયત અધિકારી એ.સી.દવેરાએ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાનાં લાભો અંગે માહિતી આપી હતી તેમજ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અંગે પણ વિગતવાર માહિતી આપી હતી અને ખેતીમાં તેના અમલીકરણથી ખેતી ખર્ચમાં ઘટાડો તેમજ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાનાં લાભો વિષે ખેડૂતોને સમજાવ્યા હતા.
વધુમાં તમામને સંકલિત પોષણ વ્યવસ્થાપન દ્વારા પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધારવા અંગેની સમજ આપવામાં આવી હતી તેમજ બાગાયત વિભાગ દ્વારા અમલમાં રહેલી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતો કેવી રીતે મેળવી શકે તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
બાગાયત મદદનીશ કે.એ.કાપડીયા દ્વારા આભારવિધિ સાથે તાલીમ કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહીને પ્રાકૃતિક ખેતી અને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ