


છોટાઉદેપુર , 03 ઓગસ્ટ (હિ.સ.)
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ‘ઘર આઈ નન્હી પરી ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત 'ભારત એઆઈ પંચાયત મિશન'ની પ્રથમ રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની કાર્યશાળામાં છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાટ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ડૉ. બીનાબેન રાઠવાએ ખાસ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને પંચાયતી રાજ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સરપંચોને સંબોધતા જણાવ્યું હતું કે, હોદ્દા કે પદ કરતાં વધુ મહત્વનું એ છે કે આપણે તે પદ પર રહીને સમાજ માટે શું યોગદાન આપીએ છીએ. તેમણે રાસાયણિક ખેતીથી જમીન, જળ અને સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો અંગે ચિંતા વ્યક્ત કરી પ્રાકૃતિક ખેતીને એકમાત્ર સમાધાન ગણાવ્યું હતું. સરપંચોએ પોતાના ગામને આદર્શ અને મોડેલ ગામ બનાવવા ત્યાગ અને સંકલ્પ સાથે કામ કરવા આહવાન કર્યું હતું.
રાષ્ટ્રીય સ્તરના મંચ પરથી આધુનિક ટેકનોલોજી, એઆઈ (AI) નો પંચાયતી રાજમાં ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી અંગેનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન મેળવ્યું હતું.
કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ તમામ સરપંચોને સક્ષમ પંચાયત અને પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા માટેના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ