

- રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પ્રાપ્ત થતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર ટીમને બિરદાવી
ગાંધીનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનાં નેતૃત્વમાં ગુજરાતે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 03 ઓગસ્ટ, 2026ના રોજ ‘નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ નિમિત્તે નવી દિલ્હીના ડૉ. બી. આર. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા ‘16મા ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ સમારોહમાં ગુજરાતને ત્રણ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.
આ એવોર્ડ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે દેશભરમાં અગ્રણી સ્થાન ધરાવતી IKDRC સંસ્થાને Excellence in Leading Government Hospital in Organ Transplantation એવોર્ડ, મૃત દાતાઓમાંથી સફળતાપૂર્વક અંગોના રીટ્રીવલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલને Best Non-Transplant Organ Retrieval Centre (NTORC)નો એવોર્ડ તેમજ બ્રેઇન સ્ટેમ ડેથની સમયસર ઓળખ, સ્વજનોનું સંવેદનશીલ કાઉન્સેલિંગ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલને Best Brain Stem Death Teamનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ બદલ તમામ તબીબી સ્ટાફને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અભિનંદન પાઠવ્યા હતાં.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વર્ષ-2025 દરમિયાન IKDRC-અમદાવાદ ખાતે કુલ 597 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા, જેમાં 502 કિડની, 86 લિવર અને 9 પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. આ પૈકી PM-JAY યોજના હેઠળ ૩૮૦ દર્દીઓને વિનામૂલ્યે ટ્રાન્સપ્લાન્ટનો લાભ મળ્યો છે. અહીં સારવાર મેળવતા દર્દીઓમાંથી 34 % દર્દીઓ અન્ય રાજ્યોના હોય છે, જે સંસ્થાની રાષ્ટ્રીય વિશ્વસનીયતા દર્શાવે છે.
વધુમાં, અમદાવાદ સિવિલ હોસ્પિટલે વર્ષ 2025-26 દરમિયાન 104 બ્રેઇન સ્ટેમ ડેથ કેસો પૈકી 48 મૃત દાતાઓ દ્વારા ૧૭૧ જીવનદાયી અંગો અને 34 ટિશ્યૂનું સફળ રીટ્રીવલ કરીને અનેક દર્દીઓને નવજીવન આપ્યું છે. આ ઉપરાંત, નવી સિવિલ હોસ્પિટલ, સુરતની ટીમે વર્ષ દરમિયાન 82 બ્રેઇન સ્ટેમ ડેથ કેસોનું સફળતાપૂર્વક સર્ટિફિકેશન કરીને અંગદાનની પ્રક્રિયાને ઝડપી અને વધુ અસરકારક બનાવી છે. આરોગ્ય વિભાગ, SOTTO ગુજરાત અને સરકારી હોસ્પિટલોના સુદૃઢ સંકલન, અદ્યતન ટેક્નોલોજી તથા તબીબોની નિષ્ઠાના પરિણામે આજે ગુજરાત દેશમાં અંગદાન ક્ષેત્રે એક 'રોલ મોડેલ' બનીને ઉભરી આવ્યું તેમ મંત્રી પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું.
જે પરિવારજનોએ પોતાના સ્વજન ગુમાવ્યા બાદ પણ અંગદાનનો મહાન નિર્ણય લીધો છે, તેમના પ્રત્યે હું સાંત્વના વ્યક્ત કરું છું અને વંદન કરું છું. તેમના એક નિર્ણયથી આજે અનેક નાગરિકોને નવજીવન મળ્યું છે. મૃત્યુ બાદ શરીર અગ્નિદાહ પામે એના કરતાં કોઈ બીજાને જીવનદાન આપે તે સૌથી શ્રેષ્ઠ દાન છે. સમગ્ર રાજ્યના નાગરિકો અને હોસ્પિટલોને મારી નમ્ર વિનંતી છે કે ઓર્ગન ડોનેશન પ્રત્યે સૌ જાગૃત બને અને કોઈ પણ બ્રેઈન ડેડ વ્યક્તિનું અંગ વ્યર્થ ન જાય તે માટે સહભાગી થાય તે માટે નાગરિકો અને તબીબો ને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિનંતી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ