
સોમનાથ,4 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના યશસ્વી માર્ગદર્શન હેઠળ સોમનાથ તીર્થ ખાતે પ્રતિવર્ષ કરોડો શ્રદ્ધાળુઓ સુવિધાસભર દર્શન, આવાસ અને ભોજન પ્રસાદ સાથે વિશ્વસ્તરીય આતિથ્યનો અનુભવ મેળવી રહ્યા છે.
ત્યારે પ્રધાનમંત્રી દ્વારા પ્રારંભ કરાયેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ દરમિયાન દેશભરમાંથી આવનાર ભક્તોના પ્રવાહમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આગામી શ્રાવણ માસ પૂર્વે વંદે સોમનાથ કલા મહોત્સવ અંતર્ગત સોમનાથ ખાતે દેશ ભરમાંથી કલાકારો પધારીને નૃત્ય આરાધના દ્વારા મહાદેવના ચરણોમાં પોતાની ભક્તિ અર્પિત કરી રહ્યા છે. 'વંદે સોમનાથ' ઉપક્રમ હેઠળ છેલ્લા ૨ વર્ષથી આ પવિત્ર ભૂમિ પર સાંસ્કૃતિક અને કલાત્મક ચેતનાની પુનઃસ્થાપના થઈ રહી છે.
સદીઓ પૂર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દરબારમાં હજારો નર્તક-નર્તકીઓ દ્વારા કલા અને કલ્યાણના દેવતા નટરાજ મહાદેવની કલા આરાધના કરવામાં આવતી હતી. આ પ્રાચીન દૈવીય પરંપરા અને ભારતીય નૃત્ય શૈલીઓમાં રહેલા 'શિવ તત્વ'ને પુનઃ ઉજાગર કરવા માટે નરેન્દ્ર ની પ્રેરણાથી વંદે સોમનાથ કલા મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પ્રારંભ થનાર આ કાર્યક્રમ 6 ચરણમાં યોજાશે જેમાં 10 ઓગસ્ટ, તેમજ શ્રાવણ માસના દરેક સોમવાર .17 ઓગસ્ટ,24 ઓગસ્ટ,31 ઓગસ્ટ, તેમજ 7 સપ્ટેબરના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથ ટ્રસ્ટ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA) અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવનો મુખ્ય ધ્યેય સોમનાથ તીર્થના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવને પુનઃ સ્થાપિત કરવાનો છે.શ્રાવણ માસના દરેક સોમવારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ, પ્રોમોનેડ વોક-વે, અને સાગરદર્શન ભવન ખાતે નિર્મિત ૩ વિશેષ મંચો પર સંગીત, ગાયન અને રોશનીના સમન્વય સાથે કાર્યક્રમો યોજાશે.
દેશના ખૂણે-ખૂણેથી આવેલા નિપુણ કલાકારો વિવિધ ભારતીય નૃત્ય શૈલીઓ દ્વારા સોમેશ્વર મહાદેવની આરાધના કરશે.
પ્રથમ ચરણની ભવ્ય પ્રસ્તુતિઓ
મહોત્સવના પ્રથમ ચરણમાં વિશિષ્ટ કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી જેમાં નાદત્રયી સમૂહ, અભિનયા નાગજયોતિ દ્વારા કૂચીપુડી, અંશિકા અગ્રવાલ, ઋષિકેશ મજમુદાર દ્વારા બાંસુરીવાદન, સંગીતા ચેટર્જી દ્વારા કથક, મયંક પંડ્યા દ્વારા માણ ભટ્ટના આખ્યાન, સહિતની વૈવિધ્યસભર કૃતિઓ રજૂ કરી સોમનાથ મહાદેવની કલા આરાધના કરવામાં આવી હતી.
સંસ્કૃતિ અને ભક્તિનો ત્રિવેણી સંગમ:
વંદે સોમનાથ માત્ર એક કલા મહોત્સવ નથી, પરંતુ સોમનાથની ભૂમિ પર સાંસ્કૃતિક દિવ્યતા અને કલાત્મક વારસાનો પુનર્જન્મ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી સોમનાથ તીર્થ હવે માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં, પરંતુ ભક્તિ, ભવ્ય વારસા અને ભારતીયતાનું પ્રતીક બન્યું છે. પ્રાચીન કાળમાં મહારાણી ચૌલાદેવીના સમયમાં જે રીતે કલાકારો દ્વારા મહાદેવની આરાધના થતી હતી, તે કલાત્મક 'સ્વર્ણિમ સતયુગ' આજે સોમનાથની ભૂમિ પર પુનઃજીવંત થયો છે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ