
મહેસાણા, 04 ઓગસ્ટ (હિ.સ.) સેવા સજીવ સેતુ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી કમળપથ ખાતે છઠ્ઠા નિઃશુલ્ક વૃક્ષછોડ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો વૃક્ષછોડ મેળવવા ઉમટી પડ્યા હતા. લોકોના ઉત્સાહભર્યા પ્રતિસાદને જોઈ સેવા સજીવ સેતુની ટીમ ભાવુક બની હતી.
કેમ્પ દરમિયાન લીમડો, લીંબુ, સરગવો, પારિજાત, તુલસી, સિંદૂર સહિત 1,000થી વધુ વૃક્ષછોડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના જણાવ્યા મુજબ અત્યાર સુધી યોજાયેલા છ કેમ્પમાં કુલ 6,000થી વધુ વૃક્ષછોડનું વિતરણ કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો છે.
સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે નિઃશુલ્ક વૃક્ષછોડ વિતરણનો સાતમો કેમ્પ આગામી રવિવારે કમળપથ ખાતે યોજાશે, જેમાં પણ નાગરિકોને વિવિધ પ્રકારના વૃક્ષછોડ વિનામૂલ્યે આપવામાં આવશે. આયોજકોએ વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ કરીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણના આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR