
અમરેલી,04 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના નેસડી ગામ સ્થિત પ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરે રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે તેમણે મંદિરના મહંત લવજીબાપુ સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી ધાર્મિક અને સામાજિક મુદ્દાઓ પર આત્મીય વાતચીત કરી હતી.
મંદિરમાં વૈદિક વિધિ મુજબ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. રાજ્ય મંત્રીએ ખોડિયાર માતાજીના ચરણોમાં નમન કરી રાજ્યમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ લવજીબાપુ સાથે મંદિરની સેવાકીય પ્રવૃત્તિઓ, ધાર્મિક પરંપરાઓ અને સમાજહિતના વિવિધ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં ભાવિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાજ્ય મંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કૌશિકભાઈ વેકરિયાએ મંદિર દ્વારા ધાર્મિક મૂલ્યોની સાથે સમાજસેવાના ક્ષેત્રે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી અને આવા પવિત્ર સ્થળો સમાજમાં સંસ્કાર, એકતા અને આધ્યાત્મિક ચેતના જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમ જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો અને ઉપસ્થિત ભાવિકોએ ખોડિયાર માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai