


પોરબંદર, 05 ઓગસ્ટ (હિ.સ.) વ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પોરબંદર ડેપોમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા ત્રણ કર્મનિષ્ઠ ડ્રાઇવરો મેરૂ આંત્રોલીયા, પિયુષ મહેતા અને દિલીપ ગજ્જરને સંકલન સમિતિ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
ડેપો મેનેજર પી.બી. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમારોહમાં કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં મુસાફરો પણ ઉપસ્થિત રહ્યા હતા.ડેપો મેનેજર પી.બી. મકવાણાએ જણાવ્યું હતું કે ત્રણેય ડ્રાઇવરોએ સમગ્ર સેવાકાળ દરમિયાન મુસાફર સેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. સૌજન્યપૂર્ણ વર્તન, અકસ્માતમુક્ત સેવા અને ડીઝલ બચતમાં નોંધપાત્ર યોગદાનથી તેમણે નિગમની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો.
આવા કર્મચારીઓ નિગમ માટે ગૌરવ સમાન હોવાનું તેમણે જણાવ્યું હતું.પ્રસંગે ટ્રાફિક ઇન્સ્પેક્ટર એચ.આર. ઓડેદરા, સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી અને એ.ટી.આઇ. આર. ઓડેદરાએ નિવૃત્ત કર્મચારીઓને સ્વસ્થ, સુખમય અને આનંદમય નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્યારબાદ સંકલન સમિતિના હોદ્દેદારો, ડેપોના કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મુસાફરોએ ત્રણેય નિવૃત્ત ડ્રાઇવરોને ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી અને તાળીઓના ગડગડાટ વચ્ચે સન્માનપૂર્વક વિદાય આપી હતી. વર્ષોની સેવાયાત્રાની યાદોથી કાર્યક્રમનું વાતાવરણ ભાવુક બન્યું હતું.
કાર્યક્રમના અંતે બસ સ્ટેશન ખાતે કર્મચારીઓ માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ કૃતજ્ઞતા, સન્માન અને આત્મીયતાના માહોલમાં સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya