
સુરત, 05 ઓગસ્ટ (હિ.સ.): લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ તા.૨૫/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ અને તા.૨૫/૦૮/૨૦૨૬એ બપોરે ૦૩.૦૦ કલાકે ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ યોજાશે. તા.૨૫મીના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે સૂરત જિલ્લા કલેક્ટર કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે.
જેના ભાગરૂપે જિલ્લાના વર્ગ-૧ના અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી પ્રશ્નોનું નિરાકરણ લાવશે. જેમાં મજુરા, ઉધના અને પુણા તાલુકામાં મુખ્ય કારોબારી અધિકારી (સુડા), સુરત તેમજ નાયબ કલેક્ટર-સિટી પ્રાંત (દક્ષિણ), અબ્રામા, કતારગામ અને અડાજણ તાલુકામાં અધિક કલેક્ટર-સુરત તેમજ નાયબ કલેક્ટર-સિટી પ્રાંત (ઉત્તર), ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-સુરત તેમજ નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંત,
કામરેજ અને પલસાણા તાલુકામાં પોલીસ અધિક્ષક-સુરત ગ્રામ્ય તેમજ નાયબ કલેક્ટર કામરેજ પ્રાંત, બારડોલી, મહુવા અને અંબિકા તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારી સુરત તેમજ નાયબ કલેક્ટર બારડોલી પ્રાંત, સુરત તેમજ માંગરોળ, માંડવી, ઉમરપાડા અને અરેઠ તાલુકામાં નાયબ વન સંરક્ષક (નોર્મલ), પ્રાયોજના વહીવટદાર ટ્રાયબલ સબપ્લાન (માંડવી) તેમજ નાયબ કલેક્ટર માંડવી પ્રાંત હાજર રહેશે.
ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજુઆતો અંગેની ‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’ તેવા મથાળા સાથે ગામના તલાટીને સંબોધીને દર મહિનાની તા.૧૦મી સુધી આપવાની રહેશે. જેનો જે તે તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. જયારે જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટેની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવી તેમ સુરતના જિલ્લા કલેકટરની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે