
જુનાગઢ, 05 ઓગસ્ટ (હિ.સ.) : નિયામક, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગાંધીનગરની સુચના અન્વયે તથા માર્ગદર્શન હેઠળ, સરકારી આઈ.ટી.આઈ., જૂનાગઢ ખાતે તા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે PMNAM (પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ મેળા)ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં જૂનાગઢ જિલ્લાના સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત એકમો દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. ભરતી મેળામાં GSRTC જૂનાગઢ, જૂનાગઢ ડેરી, નગરપાલિકા વંથલી, આલ્ફા મશીન ટૂલ્સ, જૂનાગઢ જ્વેલરી પ્રા. લિ., ઉષા બ્રેકો, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, પરફેક્ટ મોટર્સ, સામન્વય હોસ્પિટલ તેમજ ફર્ન હોટેલ, જૂનાગઢ સહિતના એકમો ભાગ લેશે.
આ ભરતી મેળામાં મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વ્હીકલ (MMV), ફિટર, વેલ્ડર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, COPA, RFM, પ્લમ્બર, સર્વેયર, ફાયર એન્ડ સેફ્ટી, હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર (HSI), પ્રોડક્શન એક્ઝિક્યુટિવ, QC એક્ઝિક્યુટિવ, IT એક્ઝિક્યુટિવ, મિકેનિકલ એન્જિનિયર, મશીન ટેક્નિશિયન સહિતના વિવિધ વ્યવસાયોના ઉમેદવારો માટે એપ્રેન્ટીસશીપની તકો ઉપલબ્ધ રહેશે.
જૂનાગઢ જિલ્લાની સરકારી તથા ખાનગી આઈ.ટી.આઈ.માંથી પાસઆઉટ થયેલ તાલીમાર્થીઓ કે જેમની એપ્રેન્ટીસશીપ તાલીમ બાકી હોય અને તેવા તાલીમાર્થીઓ કે જેઓએ આ વર્ષે પાસઆઉટ થવાના હોય, તેવા તમામ તાલીમાર્થીઓને આ ભરતી મેળામાં ઉપસ્થિત રહી ઉપલબ્ધ રોજગારીની તકનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
આ અંગે વધુ માહિતી માટે સરકારી આઈ.ટી.આઈ. જૂનાગઢ ખાતે સંપર્ક કરવા આચાર્ય ભગીરથસિંહ જાળીયા તથા આચાર્ય પ્રિયેશ વાળા એ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ