

પોરબંદર, 05 ઓગસ્ટ (હિ.સ.) આર્ય કન્યા ગુરુકુળ ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીનીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિરુચિ અને ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યે આદરની ભાવના વિકસે તે હેતુથી મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યા ડો. રંજના મજીઠિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં ધોરણ 9થી 12ની કુલ 116 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીનીઓએ પરંપરાગત તેમજ આધુનિક શૈલીની આકર્ષક મહેંદી ડિઝાઇન બનાવી પોતાની કલાત્મક પ્રતિભા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધા પૂર્ણ થયા બાદ દરેક ધોરણમાં પ્રથમથી પાંચમા ક્રમ સુધીના વિજેતાઓને પસંદ કરી પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
સ્પર્ધામાં નિરાલી ઓડેદરા, ભૂમિ ચંદવાણિયા, સુજાતા ચૌહાણ અને રવિના ઘેડિયાએ નિર્ણાયક તરીકે કામગીરી સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન અંકિતા ગજ્જર અને અંજલી પાટણેશાએ કર્યું હતું. આચાર્યા ડો. રંજના મજીઠિયાએ જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વિકસાવવાની સાથે ભારતીય સંસ્કૃતિ પ્રત્યેલગાવ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya