
દ્વારકા/અમદાવાદ,05 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે, નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત મહિલા સ્વાવલંબન દિન અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત ખાસ મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસર ડૉ.ચંદ્રેશકુમાર ભાંભી દ્વારા ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમની મહિલા સ્વાવલંબન યોજના અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ જુદા જુદા 300 કરતા વધુ વ્યવસાયો માટે રૂપિયા બે લાખ સુધીની સબસિડી વાળી લોન મળવાપાત્ર છે. જેનો લાભ પાત્રતા ધરાવતી મહિલાઓ લઈ શકે છે.
ઉપરાંત મહિલાઓ માટે આત્મનિર્ભર બનવું શા માટે જરૂરી છે તે અંગે પણ માહિતગાર કર્યા હતાં.
ઉપરાંત વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત બાળકો માટે, સ્તનપાનનું મહત્વ અને આંગણવાડી માંથી મળતી વિવિધ સેવાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
લીડ બેંક મેનેજર શ્યામલ જોશી દ્વારા, બેંક લોન લેવા માટે ની વિવિધ યોજનાઓ, બેંક સાથે કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે બેંક ખાતનુ સંચાલન કરવું વગેરેની સાથે જિલ્લામાં શરૂ થનાર RSETI કે જ્યાં મહિલાઓને વિવિધ રોજગારલક્ષી તાલીમો મળશે તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં.
જિલ્લા રોજગાર કચેરીમાંથી પધારેલા રમેશ વાણવીએ જણાવ્યું હતું કે, રોજગાર કચેરીની કામ નોકરી ઇચ્છતા ઉમેદવારો અને નોકરીદાતા વચ્ચે સેતુની ભૂમિકા ભજવવાનું અને ઉમેદવારોને રોજગારલક્ષી માર્ગદર્શન આપવાનું છે.
જિલ્લા કોર્ડિનેટર દિવ્યા બારડ દ્વારા, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે, વ્હાલી દીકરી યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર,181 મહિલા હેલ્પ લાઇન, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વગેરે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાંથી પધારેલા કોન્સ્ટેબલ એભા ચાવડાએ હાલના સમયમાં થતા વિવિધ ઑનલાઇન ફ્રોડ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, મહિલાઓ સાયબર ક્રાઇમ અને સાયબર બુલિંગનો વધુ ભોગ બનતા હોય તેથી સાવચેતી માટે શું પગલા તેની માહિતી આપી હતી.
કાર્યકમમાં હાજર મહાનુભાવોના હસ્તે “વ્હાલી દીકરી યોજના” અને “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના”ના લાભાર્થીઓને મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી પી.પી.જાદવ દ્વારા, પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રંજનબેન જોશી દ્વારા કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોની કામગીરીની જાણકારી માટે સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા THR માંથી બનાવેલી વિવિધ વાનગીઓનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાનગી એકમોમાંથી 8 નોકરીદાતાઓ જોડાયા હતા અને 60 બહેનોએ આ નોકરીદાતાઓ સામે ઇન્ટરવ્યુ આપ્યા હતા.
આ કાર્યકમમાં અગ્રણી દિપ્તી કણઝારીયા, સખી મંડળની બહેનો, આંગણવાડી કાર્યકરો, નોકરી વાંછુ મહિલાઓ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાંથી પધારેલા પેરા લીગલ વોલેન્ટીઅર, નોકરી દાતાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ