
સુરત, 05 ઓગસ્ટ (હિ.સ.) : નારીવંદન ઉત્સવ–2026 અંતર્ગત ‘મહિલા સ્વાવલંબન દિવસ’ નિમિત્તે ઉમરાની 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ભેસ્તાનની જ્યોતિ સામાજીક સંસ્થા દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થિનીઓને મહિલા સુરક્ષા, સ્વાવલંબન, કારકિર્દી માર્ગદર્શન, આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની 24*7 નિઃશુલ્ક અને ગોપનીય સેવાઓ, ઘરેલુ હિંસા, છેડતી, સાયબર ગુનાઓ, માનસિક તથા સામાજિક ત્રાસ જેવી પરિસ્થિતિમાં મળતી તાત્કાલિક સહાય, કાઉન્સેલિંગ અને માર્ગદર્શન અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન, PBSC, OSC, શિક્ષણનું મહત્વ તેમજ સરકારની વિવિધ મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મહિલાઓ અને યુવતીઓને શિક્ષણ, કૌશલ્ય વિકાસ, આત્મનિર્ભરતા, સ્વરોજગાર અને આત્મવિશ્વાસ તરફ પ્રેરિત કરવાનો છે. જેથી તેઓ પોતાના અધિકારો વિશે જાગૃત બની સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સશક્ત યોગદાન આપી શકે. નારીવંદન ઉત્સવ–2026નો મુખ્ય હેતુ મહિલાઓની સુરક્ષા, શિક્ષણ, સ્વાવલંબન, નેતૃત્વ, સ્વાસ્થ્ય અને સર્વાંગી સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. ઉત્સવ દરમિયાન વિવિધ વિષય આધારિત કાર્યક્રમો દ્વારા મહિલાઓને તેમના અધિકારો, સરકારી યોજનાઓ અને ઉપલબ્ધ સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવે છે.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થિનીઓને જરૂરિયાત સમયે નિર્ભયપણે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા તેમજ અન્ય મહિલાઓને પણ આ સેવા વિશે માહિતગાર કરવા અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે