
ગીર સોમનાથ, 06 ઓગસ્ટ (હિ.સ.) : મહિલા અને બાળવિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'નારી વંદન ઉત્સવ' અંતર્ગત 'મહિલા કર્મયોગી દિવસ' ની ઉજવણીના ભાગરૂપે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ -૨૦૧૩ અંતર્ગત જાગૃતિ સેમીનાર યોજાયો હતો.
દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી સોનલ રાઠોડે આઈ.સી.ડી.એસ અને મહિલા પાંખના કાર્યો અને માળખા વિશે જાણકારી આપી હતી. ઉપરાંત તેમણે ઘરેલુ હિંસા, દહેજ પ્રતિબંધક અને કામકાજના સ્થળે જાતિય સતામણીના કાયદાની મુખ્ય જોગવાઈઓ, શબ્દપ્રયોગ-ચેષ્ટા સહિત જાતિય સતામણીના પ્રકાર, સંગઠિત-અસંગઠિત ક્ષેત્રની જોગવાઈઓ, સતામણીનો ભોગ બને તો ફરિયાદ, સ્થાનિક-આંતરિક સમિતિની રચના,વળતર અને રાહત વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી.
સિવિલ હોસ્પિટલ સાઈકોલોજીસ્ટ નમ્રતા મહેતાએ વર્તણૂંક, માનસીક અવસ્થા, શારીરિક હાવભાવ, મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પુરુ પાડવા જરૂરી સંશાધનો, કામનાં સ્થળે મહિલાઓના અધિકારો તેમજ નોકરીદાતાની જવાબદારી વિશે ઉપસ્થિત મહિલાઓને અવગત કરી હતી.
કામકાજના સ્થળે જાતિય સતામણી અંતર્ગત મહિલાલક્ષી જાગૃતિ માટે ટૂંકી ફિલ્મ 'પ્રતિકાર' દર્શાવવામાં આવી હતી. જેના માધ્યમથી કાયદા અને જોગવાઈઓ તેમજ મહિલાઓ સન્માનજનક રીતે કાર્યસ્થળ પર સુરક્ષિત કામ કઈ રીતે કરી શકે એની માહિતી દર્શાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, જિલ્લા કલેક્ટર ઓફિસ તેમજ જિલ્લા પોલીસવિભાગના મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ