

- સોલાર પંપ મળ્યો, તો ખેતી સાથે જીવનમાં પણ ઉજાસ આવ્યો : ટેકનિકલ જાણકારીથી સોલાર ફિટિંગ અને મેઇન્ટેનન્સના કામ થકી વધારાની આવક મેળવી આત્મનિર્ભર બન્યા
રાજપીપલા,06 ઓગસ્ટ (હિ.સ.) ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ – આ સૂત્રને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સૂર્યઊર્જા આધારિત સિંચાઈ વ્યવસ્થા દ્વારા ખેડૂતોને વર્ષભર પૂરતું પાણી મળી રહે છે, જેના પરિણામે કૃષિ ઉત્પાદન, આવક અને જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થયો છે.
નર્મદા જિલ્લો મુખ્યત્વે આદિવાસી અને કૃષિ આધારિત વિસ્તાર છે. અહીંના અનેક ખેડૂતો અગાઉ વરસાદ આધારિત ખેતી પર નિર્ભર હતા. ત્યારે આ યોજનાની સફળતાનું જીવંત ઉદાહરણ દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ શીશા ગામના ખેડૂત ભારજી વસાવા છે.
ચાર વર્ષ પહેલાં તેમને PM-KUSUM યોજના હેઠળ સોલાર પંપની સુવિધા મળી હતી. અગાઉ તેઓ વરસાદ આધારિત ખેતી કરતા અને બાકીના સમયમાં રોજગારી માટે ભરૂચ-અંકલેશ્વર જેવા શહેરોમાં જવું પડતું હતું. આજે સોલાર પંપની મદદથી તેઓ વર્ષમાં ત્રણેય ઋતુમાં ખેતી કરે છે, પરિવાર માટે પૂરતું અનાજ મેળવે છે અને રોકડિયા પાક વેચીને સારી આવક પણ મેળવી રહ્યા છે.
ભારજી વસાવાએ માત્ર ખેતીમાં જ નહીં, પરંતુ સોલાર પંપની ટેકનિકલ જાણકારી મેળવીને ખાનગી કંપનીમાં ફિટિંગ અને મેઇન્ટેનન્સનું કામ પણ શરૂ કર્યું છે. જેના બદલામાં તેમને મહિને સારું એવું વળતર પણ મળે છે. આ વધારાની આવકથી તેમના પરિવારની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની છે. આજે તેમની દીકરી નવસારીમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહી છે અને દીકરો અમદાવાદમાં બી.એડ.નો અભ્યાસ કરી રહ્યો છે.
PM-KUSUM યોજના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની સાથે નવીનીકરણીય ઊર્જાના ઉપયોગને પણ પ્રોત્સાહન આપે છે. સૂર્યઊર્જાનો ઉપયોગ વધવાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે, ડીઝલનો ખર્ચ બચે છે અને પર્યાવરણનું સંરક્ષણ પણ થાય છે. આ રીતે યોજના કૃષિ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચેનું અસરકારક સંતુલન સ્થાપિત કરે છે.
ભારજી વસાવા કહે છે, PM-KUSUM યોજનાએ અમને માત્ર સોલાર પંપ આપ્યો નથી, પરંતુ આત્મનિર્ભર જીવન જીવવાનો આત્મવિશ્વાસ પણ આપ્યો છે.PM-KUSUM યોજના આજે નર્મદા જિલ્લાના અનેક ખેડૂતો માટે માત્ર સિંચાઈનું સાધન નહીં, પરંતુ આત્મનિર્ભરતા, આર્થિક સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્યનું સશક્ત માધ્યમ બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ