



વડોદરા , 06 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા મુક્તિધામની બહાર કચરાપેટીમાંથી અડધી સળગેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા એક દિવસથી વિસ્તારમાં ભારે દુર્ગંધ આવતી હતી. સ્થાનિકોએ દુર્ગંધનું કારણ શોધવા તપાસ કરતાં મુક્તિધામની બહાર આવેલી કચરાપેટીમાં અડધી સળગેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. આ દૃશ્ય સામે આવતાં સ્થાનિકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતાં જ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મૃતકની ઓળખ તેમજ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.
સ્થાનિક રહિશોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મૃતદેહ મુક્તિધામની અંદરથી બહાર ફેંકવામાં આવ્યો છે કે અન્ય કોઈ સ્થળેથી સળગાવીને અહીં લાવવામાં આવ્યો છે, તે તપાસનો વિષય છે. જોકે, આ અંગે હજુ સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પોલીસે સમગ્ર ઘટનાની સઘન તપાસ હાથ ધરી છે અને જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચવા માટે આસપાસના CCTV ફૂટેજ, ફોરેન્સિક પુરાવા તેમજ અન્ય તકનીકી માહિતીના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ હૃદયદ્રાવક ઘટનાએ વિસ્તારમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જ્યો છે. સ્થાનિકોએ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ