
અમદાવાદ, 07 ઓગસ્ટ (હિ.સ.) : અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બનાવવા અને ગુનાખોરી પર લગામ કસવા સ્વયંની હાજરીમાં ગુરુવારે ઉચ્ચ અધિકારીઓના કાફલાએ શહેરમાં સઘન નાઇટ ડોમિનેશન ડ્રાઇવ અને ચેકિંગ હાથ ધર્યું હતું.
નાગરિકોને કોઈ તકલીફ પડે તો તાત્કાલિક 112 નંબર પર ફોન કરવા અપીલ કરી છે, જેમાં માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
ગઇકાલે રાત્રે હાજરીમાં કરાયેલા ચેકિંગમાં 3 યુવક 4 બિયરના ટીન સાથે ઝડપાયા.જો તમે હવે નાગરિકોને હેરાન કરશો અથવા મારામારી સહિત ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃતિઓ કરશો તો પોલીસ તમારા માટે તૈયાર છે
નાઇટ ડ્રાઇવ દરમિયાન સિંધુભવન રોડ પર અશ્વવિલા ચાર રસ્તા નજીક પોલીસ કમિશનરની હાજરીમાં કરાયેલા ચેકિંગમાં ત્રણ યુવકો 4 બિયરના ટીન સાથે ઝડપાયા હતા. આ ઉપરાંત જમાલપુર ચાર રસ્તા પાસેથી એક શંકાસ્પદ હોન્ડાઈ i10 કારમાંથી અંદાજે 350 કફ સિરપની બોટલો મળી આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
બીજી તરફ દાણીલીમડા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કાફલો જોઈને અસામાજિક તત્વોમાં દોડધામ મચી ગઈ હતી.શહેરમાં મારામારી અને અગાઉ 112 પર આવેલી ફરિયાદોને ધ્યાને રાખી બહેરામપુરા તથા સરખેજ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા ખાસ કોમ્બિંગ હાથ ધરાયું હતું. રાત્રે 12થી 2 વાગ્યા દરમિયાન શહેરના વ્યસ્ત 150 પોઇન્ટ પર વાહન ચેકિંગ કરાયું હતું. દરેક પોલીસ સ્ટેશનમાંથી 25 કર્મચારીઓ અને 5 વાહનો સાથે આ ડ્રાઇવ યોજીને પીધેલા વાહનચાલકો, હથિયારધારીઓ અને સ્ટંટ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા.
પોલીસ કમિશનરે ગુનેગારોને ચેતવણી આપતાં જણાવ્યું કે, નાગરિકોને હેરાન કરનારા કે કાયદો હાથમાં લેનારા તત્વો સામે પોલીસ સખત કાર્યવાહી કરશે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ તકલીફ કે શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો 112 નંબર પર ઓળખ છુપાવીને પણ માહિતી આપી શકે છે, જેથી પોલીસ યોગ્ય પગલાં ભરી શકે. વધુમાં, બહેરામપુરા અને સરખેજ જેવા વધુ ફરિયાદો ધરાવતા સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા રાત્રિ દરમિયાન ખાસ ‘નાઇટ ડોમિનેશન ડ્રાઇવ’ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, જે કામગીરી સતત ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ