



- ભરૂચના તવરા ગામે પાંચ દેવી મંદિરે દર્શનાર્થે પહોંચતા સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત
- દર વર્ષે એંધલથી વીરપુર, જૂનાગઢ અને રાજપરા સુધી સાયકલ પર કરે છે ધાર્મિક પ્રવાસ
ભરૂચ, 07 ઓગસ્ટ (હિ.સ.) : ભક્તિ અને શ્રદ્ધા માટે કોઈ ઉંમર કે મુશ્કેલી સીમા નથી બનતી, તેનો સચોટ દાખલો નવસારી જિલ્લાના એંધલ ગામના નરેશ આહિરે પૂરો પાડ્યો છે. નરેશ આહિર દર વર્ષે સાયકલ પર સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની યાત્રાએ નીકળે છે અને આ વર્ષે તેમનો આ 13મો સાયકલ પ્રવાસ છે. આજે ભરૂચ નજીક આવેલા તવરા ગામે પાંચ દેવી મંદિરે પહોંચતા આહિર સમાજ અને સ્થાનિકો દ્વારા તેમનું સાલ ઓઢાડી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધીની ધાર્મિક યાત્રા સાયકલ પર પૂર્ણ કરવી એ માત્ર શારીરિક શક્તિ નહીં પણ દ્રઢ મનોબળ અને ભક્તિનો વિષય છે. નવસારી જિલ્લાના એંધલ ગામેથી ઉપડેલા શ્રદ્ધાળુ સાયકલિસ્ટ નરેશ આહિરે આ અનોખી પરંપરા છેલ્લા 13 વર્ષથી અકબંધ રાખી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ પોતાના એંધલ ગામથી નીકળી વીરપુર, જૂનાગઢ, રાજપરા જેવા સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામોમાં દેવદર્શન અર્થે જઈ રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ આજે ભરૂચ જિલ્લાના તવરા ગામે સ્થિત પ્રખ્યાત પાંચ દેવી મંદિર ખાતે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.
તવરા ગામે નરેશ આહિરનું આગમન થતાં જ સ્થાનિક આહિર સમાજમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લા આહિર સમાજના પૂર્વ પ્રમુખ તથા દક્ષિણ ગુજરાતના ઉપપ્રમુખ ડાહ્યા આહિર અને ગ્રામ પંચાયત સભ્ય મુકેશ આહિર દ્વારા નરેશ આહિરનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની આ શ્રદ્ધામય યાત્રા મંગલમય રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ