



પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ, રાણાવાવ ખાતે નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુ ઉમેદવારો વચ્ચે સેતુરૂપ બનવાના હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભરતીમેળામાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તથા કુતિયાણા તાલુકાના 1000થી વધુ ઉમેદવારોને ઈ-મેલ તથા સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા ઈન્ટરવ્યૂ પ્રક્રિયા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 38 ઉમેદવારો ભરતીમેળામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરતીમેળામાં ભવાની ફેબ્રિકેટર એન્ડ એન્જિનિયર, પોરબંદર, એલ.આઈ.સી. ઓફ ઈન્ડિયા, વાઈડ વિંગ્સ સ્કૂલ, એસ.બી.આઈ. લાઈફ ઈન્સ્યોરન્સ તથા ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના પ્રતિનિધિઓ અને મેનેજર ઉપસ્થિત રહ્યા હતા.
નોકરીદાતાઓ દ્વારા તેમની સંસ્થા ખાતે ઉપલબ્ધ ખાલી જગ્યાઓ તથા સંબંધિત જોબ પ્રોફાઈલ અંગે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારોની ઈન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ તથા આવડતના આધારે હાજર રહેલા 38 ઉમેદવારોમાંથી 29 રોજગારવાંચ્છુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા ઉમેદવારોને આગામી તબક્કાની પ્રક્રિયા માટે ફરીથી બોલાવવામાં આવશે.
આ ઉપરાંત જિલ્લા રોજગાર કચેરીના કાઉન્સેલર દ્વારા ઉમેદવારોને કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ સ્કીમ, મોડેલ કેરિયર સેન્ટર અને નેશનલ કેરિયર સર્વિસ (NCS) પોર્ટલ અંગે ઉમેદવારોને માહિતી આપી તેનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ, રાણાવાવના પ્રિન્સિપાલ રાહુલ જોષી ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya