
પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.)રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ પોલીસને જોઈ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ.55,400 રોકડા અને ગંજીપાનાં 52 પત્તા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવ ટાઉન બીટ વિસ્તારમાં ગોપાલપરામાં આરોપી મયુર ભરતભાઈ નાંઢાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.દરોડા દરમિયાન મયુર ભરતભાઈ નાંઢા (ઉ.વ.39, રહે. ગોપાલપરા, ગાયત્રી મંદિર પાસે), રવિ ગોવિંદભાઈ પાણખાણીયા (ઉ.વ.40), મનસુખભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ (ઉ.વ.65) અને જેન્તીભાઈ વિરજીભાઈ પાણખાણીયા (ઉ.વ.47) મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, મયુર નાંઢાએ પોતાના અંગત ફાયદા માટે અન્ય લોકોને પોતાના માલિકીના મકાનમાં બોલાવી પૈસા અને પાનાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમાડયો હતો અને નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવ્યો હતો.પોલીસે સ્થળ પરથી રૂ.55,400 રોકડા, ગંજીપાનાં 52 પત્તા તથા એક પાથરણું કબજે કર્યું હતું. આ દરમિયાન હેમત મનજીભાઈ બળેજા સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. રાણાવાવ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya