
કલકતા, 13 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ બંગાળમાં મદરેસાઓની માળખાકીય સુવિધાઓની તપાસ કર્યા પછી રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. પ્રથમ તબક્કાની તપાસમાં 252 સરકારી મંજૂરી વિનાના મદરેસાઓને, બંધ કરવાની નોટિસ જારી કરવામાં આવી છે. આમાંથી મોટાભાગના ‘ખારીજી મદરેસા’ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત, લગભગ 100 મદરેસાઓને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે.
માહિતી અનુસાર, રાજ્યમાં લગભગ 2396 મદરેસાઓને સરકારી મંજૂરી પ્રાપ્ત નથી. આ સંસ્થાઓના વર્તમાન માળખાકીય સુવિધાઓ, અભ્યાસક્રમ અને વિદ્યાર્થીઓ સંબંધિત માહિતીની તપાસ કર્યા પછી વિભાગે મંજૂરી વિના કાર્યરત સંસ્થાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.
રાજ્યના લઘુમતી અને મદરેસા શિક્ષણ વિભાગે 22 જુલાઈએ, કલકતા સહિત તમામ જિલ્લાઓના મદરેસાઓનું સર્વેક્ષણ કરાવ્યું હતું. આ જ સર્વેક્ષણના અહેવાલમાં લગભગ 2396 મદરેસાઓ પાસે સરકારી મંજૂરી ન હોવાની માહિતી સામે આવી. તપાસ દરમિયાન 252 મંજૂરી વિનાના મદરેસાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સંબંધિત જિલ્લાઓના જિલ્લાધિકારીઓને નોટિસની નકલો મોકલી દેવામાં આવી છે.
જે 100 મદરેસાઓને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે, ત્યાં પણ માળખાકીય સુવિધાઓમાં ખામીઓ જોવા મળી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, જો આ સંસ્થાઓ તેમનું સંચાલન યોગ્ય ઠેરવી શકશે નહીં તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
મંત્રી ખુદીરામ ટુડુએ જણાવ્યું કે, કલકતા સહિત રાજ્યના 22 જિલ્લાઓના તમામ મદરેસાઓ પાસેથી દસ્તાવેજો એકત્રિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, જે મદરેસાઓને સરકારી મંજૂરી પ્રાપ્ત છે, તેઓ કાર્યરત રહેશે.
આ મામલે મંત્રી દિલીપ ઘોષે કહ્યું કે, મદરેસાઓને લઈને ઘણી વાર ફરિયાદો મળી છે અને તેમની તપાસ ચાલી રહી છે. સરકારની મંજૂરીથી કાર્યરત મદરેસાઓ ચાલુ રહેશે, પરંતુ મંજૂરી વિના ક્યાંય પણ મદરેસા ખોલવાની પરવાનગી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, આ દિશામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિમન્યુ ગુપ્તા / સંતોષ મધુપ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ